
અમદાવાદના અસારવા રેલવે સ્ટેશનથી ઉદયપુર સુધીની રેલવે લાઈન પર આવનારા દિવસોમાં હવે ડિઝલ એન્જિનની ટ્રેન દોડવાને બદલે વીજળીથી ટ્રેન દોડશે. આ માટે બ્રોડગેજ રેલવે લાઈન પર ઈલેક્ટ્રીફીકેશનનું કાર્ય ચાલી રહ્યુ છે. પરંતુ કાર્યને પૂર્ણ કરવા માટે તસ્કરો પડકાર બન્યા છે.

અસારવાથી હિંમતનગર બ્રોડગેજ રેલવે લાઈનના ઈલેક્ટ્રીફીકેશનનું કાર્ય હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યુ છે. આ કાર્ય હવે તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે તસ્કરોએ કાર્યમાં અવરોધ સર્જી દીધો છે. રેલવે ટ્રેક પર સપ્તાહમાં બીજી વાર કોપર તારની ચોરી થઈ છે.

પ્રાંતિજના અમીનપુર રેલવે અંન્ડર બ્રિજથી નેશનલ હાઈવે 48ના ઓવરબ્રિજ વચ્ચેના રેલવે ટ્રેક પરથી તસ્કરો નવી ઈલેક્ટ્રીફીકેશન કરાયેલી લાઈનનો કેબલ વીજ પોલ પરથી ઉતારીને તસ્કરો ચોરી કરી ગયા છે.

ટ્રેક ઉપરથી બે પ્રકારના લગાવેલા 1107 મીટર કોપર વાયરની ચોરી થઈ છે. જેમાં રૂ 2.75 લાખનો 545 મીટર કોન્ટેક્ટ કોપર વાયરની ચોરી થઈ છે અને રૂ 4.47 લાખનો 562 મીટર કેટેનરી કોપર વાયરને પણ તસ્કરો કાપીને લઈ ગયા છે.

આ મામલે પ્રાંતિજ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે હવે તસ્કરોને શોધવા માટે પ્રયાસો શરુ કર્યા છે. તસ્કરોના કારણે રેલવે ટ્રેકના ઈલેક્ટ્રીફીકેશન કાર્યને અવરોધ સર્જાઈ રહ્યો છે. કારણ કે સપ્તાહમાં આ બીજીવાર ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.

પાચ દિવસ પહેલા ડભોડા પાસે રેલવે ટ્રેક પર 800 મીટર રૂ 5.50 લાખનો કોપર વાયર ચોરાયો હતો . આમ પાંચ જ દીવસમાં ફરી એકવાર તસ્કરો ત્રાટકવાને લઈ બીજી વાર કોપર વાયરની ટોકી નોંધાઈ છે. ઘટનાને પગલે રેલવે પોલીસ પણ હવે સતર્ક બની છે.