
નાગોયામાં ભારતીય ટુકડીને શરૂઆતના દિવસોમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ખેલાડીઓને એરપોર્ટ પર લાંબો સમય રાહ જોવી પડી, જ્યારે કેટલાકને હોટલમાં રૂમ ફાળવાયા હોવા છતાં કતારમાં ઊભા રહેવું પડ્યું હતું.

હોટલના રૂમની અછત સાથે પરિવહનની સમસ્યાએ પણ મુશ્કેલી વધારી છે. કેટલાક ખેલાડીઓને તાલીમ સ્થળ પરથી હોટલ પરત ફરવા માટે પૂરતી વાહન વ્યવસ્થા મળી ન હતી, જેના કારણે તેમની તાલીમ અને આરામ બંને પ્રભાવિત થયા.

ભારતીય ટુકડીમાં કુલ 503 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ નાગોયા પહોંચવાના હોવાથી આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે ભારતે સ્થાનિક આયોજકો પર સંપૂર્ણ નિર્ભર રહેવાને બદલે પોતાની વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરી છે.

નાગોયામાં રહેતા ભારતીય સમુદાયે પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. ભારતીય દૂતાવાસે અહીં રહેતા લગભગ 2,000 ભારતીય પરિવારોનો સંપર્ક કર્યો છે અને કેટલાક પરિવારોને હોટલમાં રૂમ ન મળે ત્યાં સુધી ખેલાડીઓને થોડા સમય માટે પોતાના ઘરે રહેવા તથા ભોજનની વ્યવસ્થા કરવાની તૈયારી દર્શાવી છે.

ખેલાડીઓને એરપોર્ટ પર ઓળખવામાં મુશ્કેલી ન પડે તે માટે શેફ-ડી-મિશન ટીમના સભ્યો અને અધિકારીઓ ભારતીય ટીમની સત્તાવાર જર્સી પહેરીને તૈનાત રહેશે. એરપોર્ટ પર જ ખોરાક, સામાન રાખવાની જગ્યા અને વાહનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ દરમિયાન રમતગમત મંત્રી મનસુખ માંડવિયા નાગોયા પહોંચ્યા બાદ સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી છે. રમતગમત મંત્રાલય અને IOA દ્વારા પરિસ્થિતિનો સામનો કરવા માટે ત્રણ સ્તરીય બેકઅપ યોજના તૈયાર કરવામાં આવી છે, જેથી આગામી દિવસોમાં પહોંચનારા ખેલાડીઓને આવી મુશ્કેલી ન પડે.

ભારતીય ટુકડીની મુશ્કેલીઓ માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી. દક્ષિણ કોરિયા સહિત અન્ય દેશોએ પણ નાગોયામાં લોજિસ્ટિકલ વ્યવસ્થા સામે વાંધો વ્યક્ત કર્યો છે.

બીજી તરફ, ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA)એ આ ટીકાઓને ફગાવી દીધી છે. આ ગેમ્સમાં 43 રમતોમાં 45 દેશોના આશરે 11,000 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. (PC:X/INSTAGRAM)