
શુક્રવારે રાજીવ ગાંધી ભવન ખાતે મીડિયાને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થીવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે લોકસભામાં સાંસદના સવાલના જવાબમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, ગુજરાત રાજ્યની 25 પૈકી 13 નદીઓના નીર નહાવા લાયક નથી. એક સમય એ નદીના નીર પીવા લાયક હતા પણ પ્રદુષણના લીધે હવે તે નહાવા લાયક નથી રહ્યા.

લોકસભાના અહેવાલ મુજબ કેન્દ્રના પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું કે દેશની 603 નદીઓના પાણીની શુધ્ધતાની ગુણવત્તા તપાસવામાં આવી તે પૈકી 279 નદીઓના નીર નહાવા લાયક નથી. ગુજરાત રાજ્યમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા 25 નદીઓના પાણીની ગુણવત્તા 64 સ્થળો ઉપર ચકાસવામાં આવી હતી. સંશોધનમાં ગુજરાતની 13 નદીઓ પ્રદૂષિત હોવાનું તારણ મળ્યું, જેના નીર નહાવા લાયક પણ નથી. આ પાણી ગુણવત્તા તપાસવા માટે BOD વેલ્યુ તપાસવામાં આવી હતી.

BOD એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે 3 મિલિગ્રામ પ્રતિ લીટર સુધીનું હોવું જોઈએ તો જ એ નહાવા લાયક ગણાય, જ્યારે સાબરમતી ની BOD વેલ્યુ સ્તર 292 જેટલું આવ્યું તે સામાન્ય કરતા 97 ઘણું વધારે મળી આવ્યું છે, જ્યારે ભાદર નદીનું BOD વેલ્યુ 258.6 મળી આવ્યું જે સમાન્ય કરતા 86 ઘણું વધારે મળી આવ્યું છે. ગુજરાત રાજ્યની માતા સમાન જીવાદોરી ગણાતી સાબરમતી, ભાદર, ખારી, ધાડર, અમલાખાડી, વિશ્વામિત્ર, મીંઢોળા, મહી, શેઢી, ભોગાવો, ભૂખી ખાડી, દમણગંગા, તાપીના નીર હવે નહાવા લાયક પણ નથી રહ્યાં.

કેન્દ્ર સરકારને પર્યાવરણની બિલકુલ ચિંતા ના હોય તે સરકાર ના જવાબમાં પ્રતીત થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2022-2023માં સૌથી વધુ 6 પ્રદૂષિત નદીને શૂન્ય રૂપિયા આપી જાણે ગુજરાતના પર્યાવરણને તમાચો માર્યો હોય તેવું લાગે છે. ગુજરાતની નદીઓને માતા ગણીને પૂજન કરવા વાળા ગુજરાતીઓએ જાગૃત થઈ અને નદીઓને પૂર્ણજીવિત અને શુદ્ધ નીર માટે તૈયારી કરવી પડશે. સરકાર ઘેરી નિંદ્રામાં છે તે દેખાઈ આવે છે. ન્યાયતંત્રના વારંવાર ઠપકા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસ, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા વારંવાર નદીઓ ના પ્રદુષણ ઉપર અનેક રિપોર્ટ આવ્યા છતાં ઉદાસીન સરકાર, પર્યાવરણ નું નખ્ખોદ કાઢવા જઈ રહી છે.

રાષ્ટ્રીય નદી પુનરુદ્ધાર યોજના હેઠળ નદીઓના પ્રદુષણને ઘટાડવામાં આવે તે બદલ વિત્તિય સહાય આપવામાં આવે છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થીવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું.
Published On - 6:54 pm, Fri, 7 April 23