
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આસામ મુલાકાતનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે આસામના તેજપુર એરફોર્સ સ્ટેશન ખાતે સુખોઈ 30 MKI ફાઈટર એરક્રાફ્ટમાં ઐતિહાસિક ઉડાન ભરી હતી.

રાષ્ટ્રપતિ મુર્મુ આવી ઉડાન ભરનાર ત્રીજા રાષ્ટ્રપતિ અને બીજા મહિલા રાષ્ટ્રપતિ છે. આ પહેલા પ્રતિભા દેવી પાટીલે ઐતિહાસિક ઉડાન ભરી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે ગુવાહાટીમાં ગજરાજ ફેસ્ટિવલ-2023નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પ્રકૃતિ અને માનવતા વચ્ચે પવિત્ર સંબંધ છે. જે કાર્ય કુદરત અને પશુ-પક્ષીઓ માટે કલ્યાણકારી છે તે માનવતાના હિતમાં પણ છે. તે પૃથ્વી માતાના હિતમાં પણ છે.

અગાઉ તેમણે હાથીઓને ખાવાનું ખવડાવ્યું હતું અને કાંજીરંગા નેશનલ પાર્કમાં જીપ સફારીનો આનંદ માણ્યો હતો. રાષ્ટ્રપતિએ હાથીઓ સાથે દયાળુ વર્તન કરવા, તેમની હિલચાલને સરળ બનાવવા માટે તેમના કોરિડોરને અવરોધો મુક્ત રાખવાનું આહ્વાન કર્યું.

આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસીય આસામ પ્રવાસ પર ગુરુવારે બપોરે ગુવાહાટી પહોંચ્યા હતા. એરપોર્ટ પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા માટે રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા પણ એરપોર્ટ પર હાજર હતા.
Published On - 3:36 pm, Sat, 8 April 23