
હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ છે. દર મહિને બે વાર એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આખા વર્ષમાં 24 એકાદશી આવે છે પરંતુ જ્યારે અધિકમાસ આવે છે, ત્યારે તેની સંખ્યા 26 થઈ જાય છે. આ બધી એકાદશીમાં 'નિર્જળા એકાદશી' સૌથી મોટી માનવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે વ્યક્તિ આખા વર્ષની એકાદશીનું વ્રત રાખી શકતી નથી, તે જો માત્ર નિર્જળા એકાદશીનું વ્રત રાખે તો તેને આખા વર્ષની બધી એકાદશીના વ્રત બરાબર પુણ્યફળ પ્રાપ્ત થાય છે. જો કે, આ વર્ષે નિર્જળા એકાદશી વ્રત પર ભદ્રાનો ઓછાયો મંડરાઈ રહ્યો છે. એવામાં સવાલ એ છે કે, પૂજા માટે કયો સમય સૌથી ઉત્તમ રહેશે?

પંચાંગ અનુસાર, જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશી તિથિની શરૂઆત 24 જૂનના રોજ સાંજે 6 વાગ્યાને 12 મિનિટે થશે. એકાદશી તિથિની પૂર્ણાહુતિ 25 જૂનના રોજ રાત્રે 8 વાગ્યાને 9 મિનિટે થશે. ઉદયાતિથિ અનુસાર, નિર્જળા એકાદશીનું વ્રત 25 જૂન 2026 ના રોજ રાખવામાં આવશે. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

આ વખતે નિર્જળા એકાદશીના દિવસે ભદ્રાનો ઓછાયો પણ રહેશે. આ દિવસે ભદ્રા સવારે 7 વાગ્યાને 8 મિનિટથી રાત્રે 8 વાગ્યાને 9 મિનિટ સુધી રહેશે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, આ દિવસે ભદ્રા પાતાળ લોકમાં રહેશે, તેથી તેની અસર નિર્જળા એકાદશીની પૂજા પર નહીં પડે. જણાવી દઈએ કે, ભદ્રા જ્યારે પાતાળ લોકમાં હોય છે, ત્યારે તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ હોતી નથી.

નિર્જળા એકાદશીની પૂજા માટે બ્રહ્મ મુહૂર્ત અને અભિજિત મુહૂર્ત સૌથી ઉત્તમ રહેશે. આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4 વાગ્યાને 5 મિનિટથી સવારે 4 વાગ્યાને 45 મિનિટ સુધી રહેશે. અભિજિત મુહૂર્ત સવારે 11 વાગ્યાને 56 મિનિટથી બપોરે 12 વાગ્યાને 52 મિનિટ સુધી રહેશે. બીજું કે, નિર્જળા એકાદશીના દિવસે 'રવિ યોગ' પણ રહેશે. 'રવિ યોગ' સવારે 5 વાગ્યાને 25 મિનિટથી સાંજે 4 વાગ્યાને 29 મિનિટ સુધી રહેશે. આ મુહૂર્તમાં પૂજા કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે.

નિર્જળા એકાદશીના પારણા 26 જૂન 2026 ના રોજ કરવામાં આવશે. પારણા માટેનો શુભ સમય સવારે 6 વાગ્યાને 3 મિનિટથી સવારે 8 વાગ્યાને 42 મિનિટ સુધીનો રહેશે. પારણાના દિવસે દ્વાદશી તિથિ રાત્રે 10 વાગ્યાને 22 મિનિટે પૂર્ણ થશે. એકાદશી વ્રતના પારણા દ્વાદશી તિથિ પૂર્ણ થાય તે પહેલાં કરવામાં આવે છે. જો દ્વાદશી તિથિ સૂર્યોદય પહેલાં જ પૂર્ણ થઈ ગઈ હોય, તો એકાદશી વ્રતના પારણા સૂર્યોદય પછી કરવામાં આવે છે.