નાતાલનો તહેવાર નજીક છે, જેના કારણે બજારો ધમધમી રહ્યાં છે. નાતાલના દિવસે ચર્ચોમાં ક્રિસમસ ઘંટનો ગુંજ સંભળાશે. ક્રિસમસ પર દરેક ચર્ચને રોશની અને અન્ય શણગારથી શણગારવામાં આવશે.
ક્રિસમસનો તહેવાર દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે, તો લોકોના મનમાં એક સવાલ થાય છે કે, આ તહેવાર 25 ડિસેમ્બરના રોજ કેમ મનાવવામાં આવે છે. ઈસાઈ ધર્મના લોકો માટે ક્રિસમસનો તહેવાર ખુબ ખાસ અને મહત્વપૂર્ણ હોય છે. તેઓ દર વર્ષ ક્રિસમસની રાહ જોતા હોય છે.
આ દિવસનો ખાસ કરીને બાળકો આતુરતાથી રાહ જોતા હોય છે. કારણ કે, આ નાતાલના દિવસે સાંતા ક્લોઝ બાળકોને ગિફટ આપતા હોય છે.એવું કહેવામાં આવે છે કે, આ તહેવાર 25 ડિસેમ્બરના રોજ એટલે મનાવવામાં આવે છે,
કારણ કે, ઈસાઈ લોકોનું માનવું છે કે, આ દિવસે ઈસુ મસીહનો જન્મ થયો હતો. પરંતુ બાઈબલમાં ઈસુ મસીહના જન્મની તારીખનો કોઈ ઉલ્લેખ મળતો નથી.
પરંતુ ચોથી સદીમાં, રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઈને સત્તાવાર રીતે 25 ડિસેમ્બરને નાતાલ તરીકે માન્યતા આપી. ત્યારથી, ખ્રિસ્તી ધર્મના લોકો 25 ડિસેમ્બરે નાતાલનો દિવસ ઉજવે છે.
ક્રિસમસ ઈસાઈ ધર્મના લોકો માટે સૌથી મોટો તહેવાર છે. જેની તૈયારી થોડા દિવસો પહેલા જ કરી દેવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં ક્રિસમસ ટ્રીમાં સજાવટ કરે છે. તો બાળકો આતુરતાથી સાન્તાક્લોઝની રાહ જુએ છે.
નાતાલના દિવસે, લોકો તેમના ઘરોને સુંદર રીતે શણગારે છે અને ક્રિસમસ ટ્રી લગાવે છે. તેઓ ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે અને મીણબત્તીઓ પણ પ્રગટાવે છે. આ ઉપરાંત લોકો તમામ પ્રકારની વાનગીઓ બનાવીને, પાર્ટીઓ કરીને અને કેક કાપીને આ તહેવારની ઉજવણી કરે છે.
Published On - 3:39 pm, Mon, 23 December 24