
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75મા સ્વાતંત્ર્ય પર્વ નિમીત્તે મંદિરને ત્રિરંગા પતાકાથી સુશોભિત કરવામાં આવ્યુ હતુ. સમગ્ર પરિસરમાં ત્રિરંગા પતાકા ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં નડિયાદ પીજના યુવકોએ દેશભક્તિનું નાટક રજૂ કર્યુ હતુ. જ્યારે વડોદરા હરિનગરના બાળકોએ શૌર્યગીત રજૂ કર્યુ હતુ.

મંદિરની અટારીએથી દેવના ડેરાની પ્રદક્ષિણાએ પણ રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરતા ત્રિરંગા પતાકા લહેરાવવામાં આવ્યા હતા.

ધ્વજવંદન બાદ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત સહુ મહાનુભાવો, મહેમાનો અને હરિભક્તોને 75માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી.

આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે જણાવ્યુ કે આપણી આઝાદીના 75 વર્ષની ઉજવણીના પાયામાં દેશના સપૂતોનું બલિદાન છે. જેના લીધે આજે અમૃત કુંભ મળ્યો છે. આ અમૃતકુંભની જાળવણી કરવી એ આપણા સહુની પવિત્ર ફરજ છે

આ પ્રસંગે તેમણે શહીદ ભગતસિંહ, મંગળ પાંડેના બલિદાનને યાદ કર્યુ. ઉપરાંત દેશની સીમાઓ પર ખડેપગે રાષ્ટ્રની સેવા કરતા ભારતીય જવાનોને પણ યાદ કર્યા અને ભારત અનોખી પ્રતિભા બને તેવી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી હતી.