
દરિયાકિનારે વસેલા પુરી શહેરમાં જગન્નાથ રથ યાત્રામાં 10 દિવસીય મહોત્સવ ઉજવાય છે. આ યાત્રાની તૈયારી અક્ષય તૃતીયાના દિવસે શ્રીકૃષ્ણ, સુભદ્રા અને બલરામના રથોના નિર્માણ કાર્ય સાથે શરુ થાય છે. આ રથ લીમડા અને અન્ય કેટલાક વૃક્ષોના લાકડામાંથી બને છે.

ભગવાન જગન્નાથ પુરીના 800 વર્ષ જૂના મુખ્ય મંદિરમાં બિરાજે છે. તેમની સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા પણ બિરાજે છે. પૌરાણિક કથાઓ અનુસાર, રાજા ઈન્દ્રદ્યુમ્ન, ભગવાન જગન્નાથને શબર રાજા પાસેથી લઈને આવ્યો હતો. તેમણે મૂળ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું જે પછીથી નષ્ટ થઈ ગયું. એવું માનવામાં આવે છે કે વર્તમાન 65 મીટર ઊંચા મંદિરનું નિર્માણ 12મી સદીના ચોલ ગંગદેવ અને અનંગ ભીમદેવ એ કરાવ્યું હતું.

આ રથયાત્રા અંગેની ધાર્મિક માન્યતા એવી છે કે એક વખત બહેન સુભદ્રાએ તેના ભાઈ કૃષ્ણ અને બલરામજી પાસેથી શહેર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી બંને ભાઈઓએ પોતાની બહેનની ઈચ્છા પૂરી કરવા માટે એક ભવ્ય રથ તૈયાર કરાવ્યો અને તેના પર સવાર થઈને ત્રણેય શહેરોના પ્રવાસ માટે નીકળ્યા. આ માન્યતાને અનુસરીને દર વર્ષે પુરીમાં જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

બલરામજીના રથને તાલધ્વજ તરીકે ઓખવામાં આવે છે. આ રથ 13.2 મીટર ઊંચો અને 14 પૈડાં વાળો હોય છે. આ રથ લાલ, લીલા રંગના કપડા તથા લાકડાના 763 ટુકડાથી બનેલો હોય છે. રથના ધ્વજને ઉનાની કહેવામાં આવે છે. આ રથમા રક્ષક વાસુદેવ અને સારથી મતાલી હોય છે. ઘોરા, ત્રિબ્રા, દીર્ઘશર્મા અને સ્વર્ણનાવા તેના અશ્વ હોય છે. જે દોરડાથી આ રથ ખેંચવામાં આવે છે તેને વાસુકી કહેવામાં આવે છે.

બહેન સુભદ્રાના રથને પદ્મધ્વજ કહેવામાં આવે છે. 12 પૈડાં વાળું આ રથ 12.9 મીટર ઊંચો હોય છે. તેમાં લાલ, કાળા કપડા અને લાકડાના 593 ટુકડાનો ઉપયોગ થાય છે. આ રથના રક્ષક જયદુર્ગા અને સારથી અર્જુન હોય છે. આ રથના ધ્વજને નંદબિક કહેવામાં આવે છે. આ રથના અશ્વનું નામ રોચિક, મોચિક, જિતા અને અપરાજિતા છે. આ રથના દોરડાને સ્વર્ણચૂડા કહેવાય છે.

જગન્નાથજીના રથને ગરુડધ્વજ, કપિલધ્વજ કહેવામાં આવે છે. 16 પૈડાંવાળા આ રથની ઊંચાઈ 13.5 મીટર હોય છે. આ રથમાં લાલ-પીળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે. વિષ્ણુના વાહક ગરુડ આ રથની રક્ષા કરે છે. આ રથના ધ્વજને નંદીઘોષ અને ત્રૈલોક્યમોહિની પણ કહેવામાં આવે છે.