
નવી ટોલ સિસ્ટમ સંપૂર્ણપણે AI આધારિત હશે અને તેમાં સેટેલાઇટ નંબર પ્લેટ ઓળખ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ટોલ વસૂલાત AI, FASTag અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR)ના સંયોજનથી થશે. ગડકરીએ જણાવ્યું હતું કે સરકારનો હેતુ ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય શૂન્ય મિનિટ સુધી લાવવાનો છે, જેથી ટોલ સિસ્ટમ વધુ પારદર્શક બને અને કોઈપણ પ્રકારની ટોલ ચોરી અટકાવી શકાય.

આ નવી ટોલ ટેકનોલોજીથી દેશને દર વર્ષે અંદાજે ₹1,500 કરોડનું ઇંધણ બચત થવાની શક્યતા છે. સાથે જ સરકારની આવકમાં આશરે ₹6,000 કરોડનો વધારો થવાની અપેક્ષા છે. ગડકરીએ જણાવ્યું હતું કે FASTag લાગુ થયા બાદ સરકારની આવકમાં પહેલેથી જ ₹5,000 કરોડનો વધારો થયો હતો, અને MLFF સિસ્ટમ આ આવકને વધુ વધારશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ ટેકનોલોજી અમલમાં આવવાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે અને જનતાને મોટી રાહત મળશે. સરકારનું મુખ્ય ધ્યાન રાષ્ટ્રીય હાઇવે પર છે, રાજ્ય હાઇવે અથવા શહેરના રસ્તાઓ પર નહીં. સરકારનો લક્ષ્ય એક પારદર્શક, ઝડપી અને ભ્રષ્ટાચારમુક્ત ટોલ સિસ્ટમ બનાવવાનો છે.