
આજે વિધાનસભામાં ગુજરાતનું આત્મનિર્ભર બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં સતત બીજી વખત નાણાપ્રધાન કનુ દેસાઈ બજેટ રજૂ કર્યું છે. જે રીતે કેન્દ્રીય બજેટમાં પણ આત્મનિર્ભરતા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તે જ રીતે રાજ્ય સરકાર પણ આત્મનિર્ભર થીમ પર બજેટ રજૂ કરી શકે તેવી સંભાવના હતી.

નાણાપ્રધાન કનુ દેસાઈએ વિધાનસભામાં રુપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કર્યુ, ગત વર્ષ કરતા 57,053 કરોડનો બજેટમાં વધારો થયો છે. ગુજરાતનું બજેટ 5 સ્થભં પર તૈયાર કરવામાં આવ્યુ છે. જેમાં કુલ 4 વર્ષનો રોડ મેપ તૈયાર કરાયો છે.

આત્મનિર્ભર બજેટની સૌથી મોટી વાત એ હતી કે તે કરવેરા વગરનું બજેટ હતું. બજેટમાં નવા કોઇ કરવેરાની જાહેરાત કરવામાં આવી નથી.

ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગ ની પાયાની સુવિધા માટે અંદાજે 2 લાખ કરોડ ની ફાળવણી, માનવ સંસાધન વિકાસ માટે 4 લાખ કરોડની ફાળવણી, વિશ્વ કક્ષાની આંતરાષ્ટ્રીય સવલતો માટે અંદાજે 5 લાખ કરોડની ફાળવણી, કૃષિ ઉદ્યોગ સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓના વિકાસ માટે અંદાજે 2 લાખ કરોડ અને ગ્રીનગ્રોથ માટે 2 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગ માટે સૌથી વધારે 43,651 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નર્મદા મુખ્ય કેનાલની જાળવણી માટે 178 કરોડ, આદિજાતિ ખેડૂતોને આધુનિક કૃષિ યંત્રો આપવા માટે 29 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

બીબી સેવાઓ માટે કુલ 1278 કરોડની જોગવાઇ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 15,182 કરોડની જોગવાઈ અને અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2165 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.