સોનું સતત નવા શિખરો સર કરી રહ્યું છે. ત્યારે આજે ચોથી નવરાત્રિના દિવસે સોનું 93,000 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. ગઈકાલની સરખામણીએ આજે સોનાના ભાવમાં 1000 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.
રાજધાની દિલ્હીમાં આજે સોનું 93,000 રૂપિયે પહોંચી ગયું છે જ્યારે દિલ્હીમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 85,000 રૂપિયાના સ્તરને પાર કરી ગયો છે.મુંબઈમાં 22 કેરેટ સોનું 85,110 રૂપિયા અને 24 કેરેટ સોનું 92,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ગઈકાલની સરખામણીમાં આજે સોનાના ભાવમાં 1000 રૂપિયાનો વધારો થયો છે.
ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 92,900 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 85,160 રુપિયા પર પહોંચી ગયો છે.
2 એપ્રિલ 2025ના રોજ ચાંદીનો ભાવ 1,05,100 રૂપિયા પ્રતિ કિલો હતો. ચાંદીની કિંમતમાં લગભગ 2000 રૂપિયાનો વધારો થયો છે.
સોનાની કિંમતમાં વધારાનું સૌથી મોટું કારણ વિશ્વમાં વધતી અસ્થિરતા છે. જ્યારે સંજોગો અનિશ્ચિત હોય છે, ત્યારે લોકો તેમના નાણાં સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરવાનું શરૂ કરે છે. અમેરિકાની નીતિઓ, ડૉલરની વધઘટ અને વધતી જતી મોંઘવારીને કારણે પણ સોનાની માંગ વધી રહી છે. આ સિવાય ઘણા દેશોની બેંકો પણ મોટી માત્રામાં સોનું ખરીદી રહી છે, જેના કારણે તેની કિંમત વધુ વધી રહી છે. આ જ કારણ છે કે સોનું હવે તેના રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગયું છે.
ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે.