
અધિક શ્રાવણ શુક્લ એકાદશી એટલે કે પદ્મિની એકાદશી પર હરિ નામ સ્મરણનો આધ્યાત્મિક મહિમા અનેરો હોય ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજીને સમગ્ર તીર્થમા શ્રીકૃષ્ણનું જીવંત સાનિધ્ય સર્જન કરવામાં આવ્યું હતું.

અહીં શ્રીકૃષ્ણ સાક્ષાત બિરાજમાન છે, ગોલોક ધામમાં બિરાજનાર કૃષ્ણ ભક્તની દરેક કામના પૂર્ણ કરે છે અને તેમને વૈકુંઠ પ્રદાન કરે છે. ભક્તિમય વાતાવરણમાં શ્રીનાથજીની ઝાંખી પૂર્ણ થઈ ત્યારે ભક્તો એટલા ભાવવિભોર થયા હતા કે સાક્ષાત શ્રીકૃષ્ણએ તેમને સ્પર્શ કર્યો હોય કોઈની આંખોમાં કરુણાના આંસુ હતા તો કોઈ ભક્તો શ્રીકૃષ્ણના સ્મરણ સાથે ગરબે ઘુમવા લાગ્યા હતા.

અનેક ભક્તો દ્વારા દેશ વિદેશમાં વસતા પોતાના પરિજનોને મોબાઇલના માધ્યમથી શ્રીનાથજીની ઝાંખીના દર્શન કરાવવામાં આવ્યા હતા અને વિશેષ આનંદની વાત તો એ હતી કે શ્રીકૃષ્ણ ભક્તિના આ મહાપર્વમાં યુવાઓ સર્વાધિક માત્રામાં જોડાયા હતા.

આયોજનને સ્વયં શ્રીકૃષ્ણ આશીર્વાદ આપતા હોય તે રીતે ભાગવત કથાકાર શરદભાઈ વ્યાસ , પૂર્વ મંત્રી કૌશિક પટેલ જેવા મહાનુભવોએ કાર્યક્રમમાં ભાગ લઈ કલા સાધકોને અભિનંદન આપ્યા હતા

સોમનાથ ટ્રસ્ટના આ ભક્તિ સંધ્યાના આયોજનમાં જોડાઈને ભક્તો ધન્ય બન્યા હતા. સ્વયં મેઘરાજ શ્રીકૃષ્ણની ભક્તિમાં ભાગ લેવા અને સમાપન સમયે શ્રીકૃષ્ણના દર્શન કરવા પહોંચ્યા હોય તેમ અમીવર્ષા કરી શ્રીકૃષ્ણનો જલાભિષેક કર્યો હતો. જય સોમનાથ જય શ્રી કૃષ્ણ ના નાદ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે.ડી પરમાર વિજયસિંહ ચાવડા, સહિત ટ્રસ્ટના અધિકારીઓએ કલાકારોને સોમનાથ મહાદેવનો પ્રસાદ આપી સન્માનિત કરી વિદાયમાન આપ્યું હતું. ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી- ગીર સોમનાથ
Published On - 11:57 pm, Sat, 29 July 23