
પરિવારના સભ્યના મૃત્યુ પછી તેમના સત્તાવાર દસ્તાવેજો અને ઓળખ કાર્ડ જેમ કે પાન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર ID વગેરેને યોગ્ય રીતે સંભાળવા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ઘણીવાર કાનૂની વારસદારોને ખાતરી હોતી નથી કે, પરિવારના સભ્યના મૃત્યુ પછી તેમના દસ્તાવેજો ક્યાં સબમિટ કરવા?

જણાવી દઈએ કે, આ દસ્તાવેજો અંગે કોઈ સમાન નિયમો નથી. એવામાં એ સમજવું મહત્વપૂર્ણ છે કે, આ દસ્તાવેજોનો દુરુપયોગ છેતરપિંડી અથવા ગેરકાયદેસર વ્યવહારો માટે થઈ શકે છે. આથી, તેનું યોગ્ય રીતે સંચાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા, બેંક-ડીમેટ એકાઉન્ટ ખોલવા અને ઘણા નાણાકીય વ્યવહારો કરવા માટે પાન કાર્ડ જરૂરી છે. આથી, તમારા પાન કાર્ડને લગતા બધા એકાઉન્ટ અને વ્યવહારો પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારું પાન કાર્ડ તમારી પાસે રાખો. જો તમારે તમારું ITR ફાઇલ કરવાની જરૂર હોય, તો ITR પ્રોસેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારા PAN કાર્ડને સુરક્ષિત રાખો.

ઇન્કમ ટેક્સ વિભાગ 4 વર્ષ (Including The Current Assessment Year) સુધીના કેસ ફરીથી ખોલી શકે છે. એકવાર બધા ખાતા બંધ થઈ જાય અને બીજી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ જાય પછી તમે મૃત વ્યક્તિનું 'PAN કાર્ડ' આવકવેરા વિભાગને સોંપી શકો છો. પાન કાર્ડ સરેન્ડર કરવા માટે તેને સંબંધિત અરજી Assessing Officer (AO) ને લખો. મૃતક વ્યક્તિનું નામ, પાન, જન્મ તારીખ અને મૃત્યુ પ્રમાણપત્રની નકલ જોડો.

મૃત વ્યક્તિનું મતદાર ઓળખપત્ર રદ કરવા માટે તમારે Registration of Electors Rules, 1960 હેઠળ ફોર્મ 7 ભરવું આવશ્યક છે. આ કરવા માટે, નજીકના ચૂંટણી કાર્યાલયની મુલાકાત લો, ફોર્મ 7 સબમિટ કરો અને મૃત્યુ પ્રમાણપત્રની નકલ જોડો. પ્રોસેસ પૂર્ણ થયા પછી નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે.

ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા અથવા સરેન્ડર કરવા માટે કોઈ કેન્દ્રિય સિસ્ટમ નથી. દરેક રાજ્યમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની પોતાની પ્રક્રિયાઓ હોય છે. આથી, સચોટ માહિતી માટે સંબંધિત Regional Transport Office (RTO) નો સંપર્ક કરો. જો કોઈ વાહન મૃત વ્યક્તિના નામે નોંધાયેલું હોય, તો ટ્રાન્સફર પ્રક્રિયા માટે તે RTO પાસેથી પણ પૂછપરછ કરી શકાય છે.