
રમનું નામ સાંભળતા જ ઘણા લોકોના મનમાં તેના મીઠાશભર્યા અને સ્મૂધ સ્વાદની છબી ઉભી થાય છે. ખાસ કરીને કેટલીક રમમાં જોવા મળતી મીઠી સુગંધ અને ગળામાં સરળતાથી ઉતરી જતો સ્વાદ એવો સવાલ ઉભો કરે છે કે શું રમ બનાવતી વખતે તેમાં ખાંડ ઉમેરવામાં આવે છે? જો રમ શેરડીમાંથી બને છે તો શું તેમાં કુદરતી રીતે પણ ખાંડ રહી જાય છે? હકીકત થોડી અલગ અને રસપ્રદ છે.

રમ સામાન્ય રીતે શેરડીના રસ અથવા શેરડીમાંથી મળતા બાયપ્રોડક્ટમાંથી તૈયાર કરવામાં આવે છે. તેની શરૂઆત ફર્મેન્ટેશન પ્રક્રિયાથી થાય છે. આ દરમિયાન યીસ્ટ ઉપલબ્ધ ખાંડને ફર્મેન્ટ કરીને આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવે છે. ત્યારબાદ ડિસ્ટિલેશનની પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાં આલ્કોહોલને અન્ય ઘટકોથી અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને કારણે તૈયાર થતા ડિસ્ટિલ્ડ સ્પિરિટમાં મૂળ શેરડીની ખાંડનો મોટો હિસ્સો રહેતો નથી.

પરંતુ અહીંથી Rum અને Sugarની કહાની પૂરી થતી નથી. રમ ડિસ્ટિલ થઈ ગયા પછી કેટલાક ઉત્પાદકો તેમાં મીઠાશ અથવા ચોક્કસ ટેક્સચર મેળવવા માટે વધારાની ખાંડ ઉમેરે છે. આ પ્રક્રિયાને સામાન્ય રીતે ડોઝિંગ અથવા ડોઝેજ તરીકે ઓળખવામાં આવે છે. જોકે મહત્વની વાત એ છે કે દરેક રમમાં આ પ્રક્રિયા થતી નથી.

કેટલાક ઉત્પાદકો રમનો સ્વાદ વધુ સ્મૂથ બનાવવા માટે મીઠાશનો ઉપયોગ કરે છે. ખાસ કરીને એવી રમમાં, જેમાં આલ્કોહોલનો તીખો અનુભવ વધારે હોય, તેમાં થોડી મીઠાશ ઉમેરવાથી પીતી વખતે સ્વાદ નરમ લાગવાનો અનુભવ થઈ શકે છે. પ્રથમ કારણ છે સ્વાદને સંતુલિત કરવો. મીઠાશ આલ્કોહોલની તીવ્રતાને થોડું સંતુલિત કરી શકે છે, જેના કારણે પીણું વધુ સરળ અને સ્મૂથ લાગતું હોય છે.

બીજું કારણ છે માઉથફીલ, એટલે કે પીતી વખતે મોઢામાં અનુભવાતું ટેક્સચર. વધારાની મીઠાશ કેટલીક રમને વધુ ભરાવદાર અથવા ગાઢ અનુભવ આપી શકે છે.

ત્રીજું કારણ ઉત્પાદનની ફ્લેવર પ્રોફાઇલને નિયંત્રિત કરવાનું છે. દરેક બ્રાન્ડ પોતાની રમનો સ્વાદ ચોક્કસ પ્રકારનો રાખવા માગે છે. તેથી કેટલીક રમમાં મીઠાશ સહિતના અન્ય મંજૂર ઘટકોનો ઉપયોગ કરીને અંતિમ સ્વાદમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

બજારમાં એવી રમ પણ ઉપલબ્ધ છે જેમાં વધારાની ખાંડનો ઉપયોગ કરવામાં આવતો નથી. કેટલાક પરંપરાગત રમ ઉત્પાદકો સ્વાદ અને સ્મૂથનેસ માટે લાંબી એજિંગ પ્રક્રિયા અથવા બેરલમાં પરિપક્વતા પર વધુ ભાર મૂકે છે.

બીજી તરફ, કેટલીક રમમાં ડોઝિંગનો ઉપયોગ થાય છે. એટલે માત્ર રમનો સ્વાદ મીઠો છે કે બોટલનો રંગ ડાર્ક છે તેના આધારે તેમાં ખાંડ ઉમેરવામાં આવી છે કે નહીં, એવો ચોક્કસ નિષ્કર્ષ કાઢી શકાય નહીં.

અહીં ગ્રાહકો માટે સૌથી મોટો સવાલ ઊભો થાય છે. કોઈ રમમાં વધારાની ખાંડ ઉમેરવામાં આવી છે કે નહીં, તે માત્ર બોટલનું લેબલ વાંચીને દરેક કિસ્સામાં સમજવું સરળ નથી. જુદા-જુદા દેશોમાં આ અંગેના નિયમો અલગ હોઈ શકે છે અને દરેક બજારમાં ઘટકો અથવા ઉમેરાયેલા સ્વીટનર્સ અંગેની માહિતી એકસરખી રીતે દર્શાવવામાં આવતી નથી. મૂળ સોર્સ મુજબ, કેટલાક બજારોમાં ઉત્પાદકો માટે આવી માહિતી સ્પષ્ટ રીતે જાહેર કરવાની ફરજ પણ નથી.

એટલે જો કોઈ રમનો સ્વાદ તમને વધારે મીઠો લાગે, તો તેનો અર્થ એ નથી કે તે ચોક્કસપણે માત્ર શેરડીની કુદરતી મીઠાશને કારણે છે. બીજી તરફ, દરેક મીઠી રમમાં જરૂરથી વધારાની ખાંડ હોય છે એવું માનવું પણ યોગ્ય નથી.

રમની પસંદગી કરતી વખતે માત્ર મીઠાશ, રંગ અથવા કિંમતને ગુણવત્તાનો માપદંડ માનવો યોગ્ય નથી. રમનો પ્રકાર, તેની બનાવટની રીત, એજિંગ, ફ્લેવર પ્રોફાઇલ અને ઉત્પાદકની માહિતી પણ મહત્વની હોય છે.

સૌથી મહત્વની વાત એ છે કે “રમ એટલે ખાંડ” એવું સીધું સમીકરણ સાચું નથી. શેરડીમાંથી બનતી હોવા છતાં ફર્મેન્ટેશન અને ડિસ્ટિલેશન પછી મૂળ ખાંડની સ્થિતિ બદલાઈ જાય છે. ત્યારબાદ કેટલીક રમમાં ઉત્પાદક દ્વારા અલગથી ડોઝિંગ કરવામાં આવી શકે છે, જ્યારે કેટલીક રમમાં વધારાની મીઠાશ ઉમેરવામાં આવતી નથી.

અટલે જ્યારે કોઈ કહે કે “દરેક રમમાં ખાંડ હોય છે”, ત્યારે આ વાતને સંપૂર્ણ સત્ય માનતા પહેલાં યાદ રાખજો, રમની બનાવટ અને તેની અંતિમ પ્રોડક્ટ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. (All Image Credit Source: Social Media)
Published On - 8:57 am, Wed, 26 August 26