
જો આપણી આસપાસ કોઈ પક્ષી સૌથી વધુ જોવા મળતું હોય તો તે 'કાગડો' છે. કાગડાને સૌથી સમજદાર અને ચાલાક પક્ષીઓમાં ગણવામાં આવે છે. બાળપણમાં આપણે આપણી શાળાના પુસ્તકોમાં કાગડાની ચાલાકી અને સમજદારીના અનેક કિસ્સા-વાર્તાઓ વાંચતા હતા, જેમાં 'તરસ્યો કાગડો અને કાંકરા' વાળી વાર્તા ખૂબ પ્રખ્યાત હતી.

એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, કાગડો કેટલા વર્ષ સુધી જીવે છે અને તેની વૃદ્ધાવસ્થા કઈ ઉંમરે આવે છે? બ્રિટાનિકાના એક રિપોર્ટ અનુસાર, જંગલમાં અથવા ખુલ્લા આકાશ નીચે રહેતા કાગડાઓ સામાન્ય રીતે 10-15 વર્ષ સુધી જીવતા હોય છે.

જો આ કાગડાઓ સારી પરિસ્થિતિમાં રહે, તો તેઓ 15-20 વર્ષ પણ જીવી શકે છે. આ સિવાય જો કાગડાને સુરક્ષિત વાતાવરણ અને તેની સારી દેખરેખ કરવામાં આવે, જેમ કે પ્રાણી સંગ્રહાલયમાં અથવા કોઈ પાલતુ કાગડો હોય, તો તે 30 વર્ષ સુધી પણ જીવી શકે છે.

હવે તમને જણાવીએ કે, કાગડો કઈ ઉંમરે વૃદ્ધ માનવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે કાગડો 10 થી 15 વર્ષની ઉંમરની આસપાસ પહોંચે છે, ત્યારે તેને વૃદ્ધ માનવામાં આવે છે. આ ઉંમરે તેની તાકાત અને ચપળતા પહેલા જેવી નથી રહેતી.

બ્રિટાનિકાના રિપોર્ટ મુજબ, જ્યારે કાગડો વૃદ્ધ થવા લાગે છે, ત્યારે તેના શરીરમાં ઘણા ફેરફારો જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો, તે પહેલાની સરખામણીમાં ધીમેથી ઊડે છે અને તેને આહાર શોધવામાં વધુ સમય લાગે છે. આ સાથે જ તેના શરીરની શક્તિ પણ ઓછી થઈ જાય છે અને તેના પીંછા થોડા નબળા અને વિખરાયેલા થઈ જાય છે.