જસપ્રીત બુમરાહ બન્યો ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન, રોહિત શર્મા બહાર
ભારતીય ટીમ શુક્રવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં જસપ્રિત બુમરાહને (Jasprit Bumrah) કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. ટીમનો કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ મેચ દરમિયાન કોરોના પોઝિટિવ આવ્યો હતો.
jasprit-bumrah
Follow Us:
ભારતીય ટીમ શુક્રવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં ઉતરશે જેની કમાન ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહના હાથમાં હશે. ટીમનો કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ મેચ દરમિયાન કોરોના પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ બુમરાહને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે.
ભારતના ક્રિકેટ ઇતિહાસમાં બુમરાહનું કેપ્ટન બનવું એ ખૂબ જ ખાસ મોકો છે. 35 વર્ષ પછી આવી તક આવી છે જ્યારે કોઈ ફાસ્ટ બોલર ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે. વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન કપિલ દેવ પછી કોઈ ફાસ્ટ બોલર ભારતનો ટેસ્ટ કેપ્ટન બન્યો નથી.
બુમરાહ આજે દુનિયાના ટોપ બોલરોમાંથી એક છે. પરંતુ જ્યારે તેણે તેને કરિયરની શરૂઆત કરી ત્યારે તેની એક્સનને લઈને ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે બુમરાહ ટેસ્ટ રમવા માટે યોગ્ય બોલર નથી પરંતુ આ ભારતીય બોલરે તે બધાને ખોટા સાબિત કરી દીધા.
બુમરાહના એક્શન પર સવાલ ઉઠાવનારાઓમાં પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શોએબ અખ્તર પણ સામેલ હતો. શોએબ અખ્તરે કહ્યું, ‘બુમરાહ તેની પીઠ અને ખભાથી ફાસ્ટ બોલિંગ કરે છે, જો તમારી પીઠમાં કોઈ સમસ્યા છે તો તમે ઈચ્છો તો પણ કંઈ કરી શકશો નહીં. મેં ફ્રન્ટલ એક્શનથી ઈયાન બિશપ અને શેન બોન્ડની સ્થિતિ વધુ ખરાબ થતી જોઈ છે. બુમરાહને દરેક મેચમાં મેદાનમાં ન ઉતારવું જોઈએ અને તેને મેનેજ કરવાનું કામ કરવું જોઈએ. જો તેને દરેક મેચમાં રમાડો છો, તો તે એક વર્ષમાં સંપૂર્ણ રીતે બેસી જશે.
પરંતુ બુમરાહ સાથે આવું બન્યું ન હતું. તે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે, આ સિવાય તે આઈપીએલમાં પણ રમી રહ્યો છે. હવે તે નવી જવાબદારી માટે તૈયાર છે. જસપ્રીત બુમરાહે ભારતીય ટીમ માટે વર્ષ 2018માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેના ડેબ્યુ બાદ તેણે ટીમ ઈન્ડિયા માટે 29 ટેસ્ટ રમી છે જેમાં તેણે 21.73ની એવરેજથી 123 વિકેટ લીધી છે.