
લખનૌના અટલ બિહારી સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે T20 સીરીઝની પ્રથમ મેચ રમાવાની છે. આ મેદાન પર શ્રીલંકા પર મોટી આફત આવી શકે છે કારણ કે અહીં ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) નું બેટ આગ વરસાવે છે. આ એ જ મેદાન છે જ્યાં 3 વર્ષ પહેલા રોહિત શર્માએ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. રોહિત શર્માની ઝડપી ઈનિંગ્સ સામે હરીફ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ધરાશાયી થઈ ગઈ હતી. રોહિત શર્માએ વર્ષ 2018માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ લખનૌમાં શાનદાર સદી ફટકારી હતી.

રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે 61 બોલમાં અણનમ 111 રન બનાવ્યા હતા. તેના બેટમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા હતા. મતલબ કે રોહિતે સિક્સર અને ફોરના આધારે 74 રન બનાવ્યા હતા. રોહિતનો સ્ટ્રાઈક રેટ 181.96 હતો.

રોહિત શર્માની આ ચોથી T20 સદી હતી. આ સદી સાથે રોહિતે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે T20માં ચાર સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન બન્યો છે. આશા રાખવામાં આવે છે કે રોહિત શર્મા શ્રીલંકા સામે પણ આવું જ કંઈક કરી બતાવે.

રોહિત શર્માએ શ્રીલંકા સામે ટી20 સદી પણ ફટકારી છે. રોહિત શર્માએ વર્ષ 2017માં શ્રીલંકા સામે સદી ફટકારી હતી. રોહિતે 118 રનની ઇનિંગ રમી હતી. રોહિતે દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટી20 સદી પણ ફટકારી છે.

જોકે આમ તો શ્રીલંકા સામે રોહિત શર્માનું પ્રદર્શન ઘણું ખરાબ છે. શ્રીલંકા સામે રોહિત શર્માની એવરેજ માત્ર 22.23 છે. શ્રીલંકાના બોલરોએ રોહિતને બે વખત શૂન્ય પર આઉટ કર્યો હતો. હવે જોવાનું એ રહે છે કે આજ થી શરુ થતી શ્રેણીમાં શું થાય છે.