
માનવ સુથારે તાજેતરમાં ન્યૂ ચંદીગઢમાં રમાયેલી અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં યાદગાર પ્રવેશ કર્યો હતો. પ્રથમ જ મેચમાં તેણે પોતાની સ્પિન બોલિંગથી વિરોધી ટીમના ખેલાડીઓને મુશ્કેલીમાં મૂકી દીધા હતા અને ભારતની મોટી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

માનવ સુથારે પ્રથમ ઈનિંગમાં માત્ર 33 રન આપીને 6 વિકેટ ઝડપી હતી, જ્યારે બીજી ઈનિંગમાં તેણે વધુ 1 વિકેટ પોતાના નામે કરી હતી. આ રીતે મેચમાં કુલ 72 રન આપી 7 વિકેટ લઈને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેના આ પ્રદર્શનના કારણે ભારતે અફઘાનિસ્તાન સામે ઈનિંગ અને 300 રનની ઐતિહાસિક જીત નોંધાવી હતી.

આ શાનદાર પ્રદર્શન બાદ ઈંગ્લેન્ડના ફેમસ કાઉન્ટી ક્લબ વોરવિકશાયરે માનવ સુથારને બે મેચ માટે સાઈન કર્યો છે. 23 વર્ષીય ભારતીય સ્પિનર પ્રથમ વખત કાઉન્ટી ક્રિકેટમાં રમતો જોવા મળશે. આ તક તેને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ અનુભવ મેળવવામાં મદદરૂપ બનશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરતા પહેલા પણ માનવ સુથારે ઘરેલુ ક્રિકેટમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. તેણે ટેસ્ટ ડેબ્યૂ પહેલા રમેલી 29 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 129 વિકેટ ઝડપી હતી. તે IPLમાં ગુજરાત ટાઈટન્સ ટીમનો પણ ભાગ છે.

વોરવિકશાયર સાથે જોડાયા બાદ માનવ સુથારે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે તે ટીમ સાથે જોડાવા માટે ઉત્સાહિત છે. તેણે આશા વ્યક્ત કરી કે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ટીમને ચેમ્પિયન બનાવવાના અભિયાનમાં તે મહત્વનું યોગદાન આપી શકશે. સુથાર યોર્કશાયર સામે 12થી 15 જૂન દરમિયાન રમાનારી મેચ તેમજ સમરસેટ સામેની આગામી મેચમાં રમશે તેવી અપેક્ષા છે. (PC:X/BCCI)