
ભારતમાં કોરોના વાઈરસ (Corona virus)ના કેસો સતત વધી રહ્યા છે અને તેની અસર દેશમાં રમતના આયોજનો પર જોવા મળી રહી છે. ખાસ રીતે ક્રિકેટ ટૂર્નામેન્ટ તેની ઝપેટમાં આવતું જોવા મળી રહ્યું છે. ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને સૌથી મોટી ચિંતા આઈપીએલ(IPL)ના આયોજનની છે. સતત બે સિઝનમાં તેને યુએઈમાં આયોજિત કર્યા બાદ શું ફરી એક વખત આઈપીએલને દેશની બહાર લઈ જવી પડશે? (PC- BCCI)

એક અહેવાલ મુજબ BCCIની સામે ટૂર્નામેન્ટ પહેલા મેગા ઓક્શનના આયોજનનો પડકાર છે અને સૌથી પહેલા બોર્ડનું ધ્યાન તેની પર છે. મેગા ઓક્શનનું આયોજન ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં કરવાની આશા છે.

BCCIના સુત્રએ જણાવ્યું કે બોર્ડ દેશમાં જ આઈપીએલનું આયોજન ઈચ્છે છે પણ જરૂર પડવા પર તમામ વિકલ્પ ખુલ્લા છે. અહેવાલ મુજબ અમે તમામ વિકલ્પ શોધી રહ્યા છે અને તેમાં વિદેશમાં આયોજન પણ એક છે પણ અમારૂ ધ્યાન દેશમાં જ આઈપીએલના આયોજન પર છે. હાલમાં અમારી પ્રાથમિકતા હરાજી છે. અમે ઝડપી જ નિર્ણય લઈશું.

2020માં પ્રથમવખત કોરોના સંક્રમણના કારણે બીસીસીઆઈને યુએઈમાં આઈપીએલનું આયોજન કરવું પડ્યું હતું. ત્યારબાદ 2021માં ભારતમાં ટૂર્નામેન્ટની શરૂઆત થઈ હતી પણ બીજી લહેરના પ્રકોપના કારણે અડધી સિઝન યુએઈમાં રમાઈ હતી.

કોરોનાના કારણે પહેલા જ બીસીસીઆઈ મોટી ટૂર્નામેન્ટ ટાળવાનો નિર્ણય લઈ ચૂક્યુ છે. આ મહિનાની 13 તારીખથી દેશના પ્રમુખ ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીની શરૂઆત થવાની હતી પણ સંક્રમણમાં વધારો થયા બાદ બોર્ડે રણજી સહિત 3 ટૂર્નામેન્ટોને ટાળવાનો નિર્ણય કર્યો હતો.