
હરદામાં નર્મદાપુરમ સહિત આસપાસના વિસ્તારમાં 14 ડૉક્ટર તાત્કાલિક રવાના થઈ ગયા હતા. હરદામાં 20 એમ્બ્યુલન્સ હાજર હતી અને વધુ 50 પહોંચી ચુકી છે. ભોપાલ, ઈંદોર, બૈતુલ, નર્મદાપુરમ, ભેરુંદા, રેહટી સહિત અન્ય નગર નિગમ અને સંસ્થાઓથી ફાયર બ્રિગેડના જવાનોને હરદા મોકલવામાં આવ્યા છે.

વિસ્ફોટના કારણે આસપાસના ઘરો પણ ધ્રુજી ગયા હતા જ્યારે જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તે તો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે.

આ ઘટનાને કારણે રહેણાંક વિસ્તારમાં ફટાકડા ફેક્ટરી સ્થાપવાને લઈને ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. આ વિસ્ફોટના કારણે હરદાના બૈરાગઢ વિસ્તારમાં આજુબાજુના ઘરોને પણ નુકસાન પહોંચ્યુ છે.

આ વિસ્તારમાં ધાબા પર ગેરકાયદે રીતે ફટાકડા બનાવવામાં આવે છે. એવુ પણ જાણવા મળી રહ્યુ છે કે દુર્ઘટના સમયે 50 થી 60 લોકો હાજર હતા, હજુ પણ એવી આશંકા છે કે લોકો અહીં ફસાયેલા છે.

ફટાકડા ફેક્ટરીમાં આ લખાય છે ત્યા સુધીમાં 11 લોકોના મોત થઈ ચુક્યા છે, હજુ મોતનો આંક વધે તેવી આશંકા પણ સેવાઈ રહી છે. જ્યારે 74 લોકો આગની ચપેટમાં આવતા ગંભીર રીતે દાઝ્યા છે.

ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનો સતત એ જહેમતમાં લાગેલા છે કે કોઈપણ રીતે આગ પર કાબુ કરી લેવામાં આવે. આગ પર કાબુ કરવામાં વિલંબ થવાનું એક કારણ એ પણ છે કે ત્યાં ફટાકડા રાખેલા છે અને તેના કારણે આગ સતત ભડકી રહી છે.