TV9 GUJARATI | Edited By: Mamta Gadhvi
Mar 22, 2022 | 12:38 PM
કોવિડ-19ને કારણે માનવ મગજ સંકોચાઈ શકે છે. આ દાવો યુકેની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ તેમના તાજેતરના સંશોધનમાં કર્યો છે. સંશોધકોનો દાવો છે કે મગજ પર આ અસર એવા દર્દીઓમાં જોવા મળી હતી જેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા, પરંતુ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હતા. કોવિડને કારણે દર્દીઓમાં જોવા મળતી આ અસર લાંબા સમય સુધી રહેશે.
કોરોના વાયરસ મગજ પર શું અસર કરે છે તે સમજવા માટે, વૈજ્ઞાનિકોએ 51 થી 81 વર્ષની વયના 785 લોકોના બ્રેનની તપાસ કરી. સંશોધનમાં 401 દર્દીઓ સામેલ હતા જેમને મગજ સ્કેન પહેલા અથવા તેની વચ્ચે કોરોના થયો હતો.
સંશોધન અહેવાલ મુજબ, કોવિડના કેટલાક દર્દીઓમાં મગજ સંકોચાઈ જવાના પુરાવા પણ મળ્યા છે. બ્રેઈન સ્કેન રિપોર્ટમાં સામે આવ્યું છે કે કોરોના દર્દીઓમાં મગજ સરેરાશ 0.2 ટકાથી 2 ટકા સુધી સંકોચાય છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ સંશોધન એવા સમયે કર્યું છે જ્યારે બ્રિટનમાં આલ્ફા વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે.
આ કિસ્સામાં, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જો આવું થાય તો દર્દીઓની વિચારવાની ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે. આ સિવાય મગજનો તે ભાગ પ્રભાવિત થઈ શકે છે જે વ્યક્તિની યાદશક્તિ અને ભાવનાઓને નિયંત્રિત કરવા માટે જવાબદાર છે.
ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સંશોધનના પરિણામો ચોંકાવનારા હતા કારણ કે મગજને નુકસાન થવાને કારણે દર્દીની સૂંઘવાની ક્ષમતા પણ પ્રભાવિત થઈ શકે છે. સંશોધનમાં સાબિત થયું કે કોરોના માનવ મગજને કેટલું નુકસાન કરી શકે છે.