
હોમ લોનની વધતી જતી EMI હોય કે ઇન્કમ ટેક્સમાં રાહતની આશા, મધ્યમ વર્ગની નજર અત્યારે સરકાર પર ટકેલી છે. બીજું કે, જેમ-જેમ 1 ફેબ્રુઆરી 2026ની તારીખ નજીક આવી રહી છે, તેમ-તેમ દેશના કરોડો હોમ લોન ધારકો અને મધ્યમ વર્ગના ધબકારા વધી રહ્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું નવમું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે અને આ વખતનું સૌથી મોટું સસ્પેન્સ હોમ લોન તેમજ ટેક્સ ડિડક્શન (કર કપાત) પર છે. ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટમાં ઘરની વધતી કિંમતો અને વ્યાજ દરોની વચ્ચે સામાન્ય માણસની નજર એ વાત પર છે કે, શું આ બજેટમાં EMIનો બોજ ઘટાડવા માટે સરકાર કોઈ 'માસ્ટરસ્ટ્રોક' રમશે?

વર્તમાનમાં, ઇન્કમ ટેક્સની કલમ 24(b) હેઠળ હોમ લોનના વ્યાજ પર મહત્તમ ₹2 લાખ સુધીની રાહત મળે છે. આ મર્યાદા વર્ષ 2014-15થી બદલવામાં આવી નથી. પ્રોપર્ટી એક્સપર્ટ્સ અને CREDAI જેવી સંસ્થાઓનું કહેવું છે કે, છેલ્લા 10 વર્ષમાં ઘરની કિંમતો બમણી થઈ ગઈ છે, તેથી આ મર્યાદા વધારીને ઓછામાં ઓછી ₹4 લાખથી ₹5 લાખ કરવી જોઈએ.

બજેટ સીધી રીતે બેંકના વ્યાજ દર નક્કી કરતું નથી (તે કામ RBI નું છે) પરંતુ બજેટની નીતિઓ તમારી અસરકારક EMI જરૂરથી નક્કી કરે છે. જો સરકાર એફોર્ડેબલ હાઉસિંગની (પરવડે તેવા આવાસ) વ્યાખ્યા (જે અત્યારે ₹45 લાખ છે) બદલીને ₹65-75 લાખ સુધી લઈ જાય, તો વધુ લોકો સબસિડી અને સસ્તી લોનના દાયરામાં આવી જશે. જો ટેક્સ ડિડક્શન (કર કપાત) ની મર્યાદા વધે છે, તો ટેક્સ બચત વધશે, જેનાથી તમારા ખિસ્સા પર EMI નો બોજ ઓછો થઈ જશે.

હોમ લોનના મુદ્દલ (Principal) પર સેક્શન 80C હેઠળ ₹1.5 લાખની છૂટ મળે છે. સમસ્યા એ છે કે, આ જ ₹1.5 લાખમાં PPF, LIC અને બાળકોની ફી પણ જોડાયેલી હોય છે. હવે માંગ એવી છે કે, હોમ લોનના મુદ્દલ માટે એક અલગ સેક્શન બનાવવામાં આવે, જેથી ઘર ખરીદનારાઓને રાહત મળી શકે.

હાલમાં નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime) માં હોમ લોનના વ્યાજ પર કોઈ પણ પ્રકારની છૂટ મળતી નથી. મધ્યમ વર્ગની સૌથી મોટી આશા એ જ છે કે, સરકાર નવી ટેક્સ સિસ્ટમમાં પણ હોમ લોન અને વીમા (Insurance) પર ડિડક્શન (કપાત) નો લાભ આપવાનું શરૂ કરે.