
તરુણ બજાજ (Tarun Bajaj): તે નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના સચિવ છે. તેઓ હરિયાણા કેડરના 1988 બેચના IAS અધિકારી છે. નાણા મંત્રાલયમાં જોડાતા પહેલા બજાજે વડાપ્રધાન કાર્યાલયમાં પણ સેવા આપી હતી. નાણા મંત્રાલયમાં કામ કરતી વખતે તેમણે દેશ માટે ઘણા રાહત પેકેજો પર કામ કર્યું છે.બજાજે કોરોના રોગચાળા દરમિયાન આરોગ્ય સંભાળ પેકેજોની સુવિધા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એક અહેવાલ મુજબ તરુણ બજાજે ત્રણ આત્મનિર્ભર ભારત પેકેજને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

તુહિન કાન્ત પાંડે(Tuhin Kanta Pandey) : નાણામંત્રી નિર્મલા સીતારમણની બજેટ ટીમમાં રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગના સચિવ તુહિન કાંતા પાંડે પણ સામેલ છે. તેઓ ઓડિશા કેડરના 1987 બેચના IAS અધિકારી છે. ઓક્ટોબર 2019માં તેમને DIPAM ના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.જો કે, સરકાર આ વર્ષે તેના ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકને પૂર્ણ કરી શકી નથી તેથી તમામની નજર તેમના વિભાગ પર રહેશે. પાંડેએ એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ વર્ષના બજેટ પછી બીજા ઘણા પ્રોજેક્ટ છે જેમાં LIC IPO એ મુખ્ય ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્ય છે.

અજય શેઠ (Ajay Seth): નાણા મંત્રાલયમાં સૌથી નવા સભ્ય હોવા છતાં તમામની નજર અજય શેઠ પર રહેશે જેમને આર્થિક બાબતોના સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે. શેઠ કર્ણાટક કેડરના 1987 બેચના IAS અધિકારી છે. તેઓ નિર્મલા સીતારમણના તમામ બજેટ ભાષણોનો મુસદ્દો તૈયાર કરવાનો હવાલો સંભાળે છે. તેમનો વિભાગ મૂડી બજારો, રોકાણો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી નીતિઓનો મુખ્ય વિભાગ પણ છે.તેઓ આવક પેદા કરવા અને રોજગારીનું સર્જન કરવા માટે મોટા પ્રોજેક્ટ્સ પર મોટી રકમ ફાળવે તેવી અપેક્ષા છે. સેઠ પાસે ભારતની જીડીપી વૃદ્ધિ જાળવી રાખીને અર્થતંત્રમાં ખાનગી મૂડી ખર્ચને પુનર્જીવિત કરવાનું મુશ્કેલ કાર્ય છે.