
ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના 31મા મેયર તો રાજકોટના 23મા મેયર તરીકે ડૉ. નેહલ શુક્લ અને સુરેન્દ્રનગરના મેયર તરીકે રાકેશ રાઠોડની પસંદગી કરવામાં આવી છે. સાથે જ વિવિધ મનપાઓમાં ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક પદે પણ નવા ચહેરાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે.

વડોદરા મહાનગરપાલિકાના 31મા મેયર તરીકે ગીતા મકવાણાની સત્તાવાર વરણી કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વર્ષા વ્યાસ, શાસક પક્ષના નેતા તરીકે શ્વેતા માછી અને દંડક તરીકે વિજય ચૌહાણની નિમણૂંક કરવામાં આવી છે. મેયર પદ સંભાળ્યા બાદ ગીતા મકવાણાએ જણાવ્યું હતું કે તેઓ શહેરની પ્રજાની પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપશે અને વડોદરાના દરેક વિસ્તારમાં લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે સૌથી પહેલાં કામગીરી હાથ ધરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. શહેરના 23મા મેયર તરીકે ડૉ. નેહલ શુક્લની વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દક્ષા વસાણીને જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પરેશ પીપળીયાની નિમણૂંક કરવામાં આવી છે. ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે હિરેન કે. ખીમાણીયાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે દંડક તરીકે સંજયસિંહ રાણાને જવાબદારી સોંપવામાં આવી છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેરના મેયર તરીકે રાકેશ રાઠોડની વરણી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સ્મિતા રાવલને જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે નિખિલ ચાપાનેરીની પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત મનપાના દંડક તરીકે સ્વાતિ માંડલિયાની નિમણૂંક કરવામાં આવી છે અને શાસક પક્ષના નેતા તરીકે પીન્ટુ અસાણિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

આણંદમાં મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત મેયરની વરણી કરવામાં આવી છે. કરમસદ-આણંદ મહાનગરપાલિકાની કમાન દીપિકા પટેલને સોંપવામાં આવી છે અને તેઓની મેયર તરીકે બિનહરીફ પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભીની વરણી કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથારની પસંદગી કરવામાં આવી છે. નવા હોદ્દેદારોની જાહેરાત સાથે શહેરના વિકાસને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભાવનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. શહેરના મેયર તરીકે ઉષા તલરેજાની વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયાને જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે કિશન મહેતાની નિમણૂંક કરવામાં આવી છે. ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે લાલભા વાળાની પસંદગી કરવામાં આવી છે અને મનપાના દંડક તરીકે રિંકુ માંગુકિયાને જવાબદારી સોંપવામાં આવી છે.