
સિંહ પ્રેમી માટે મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની અને દેશની શાન ગણાતા ગુજરાતના ગીરના એશિયાટિક સિંહો હવે જંગલ વિસ્તાર પુરતા સિમિત નથી રહ્યા. આ સિંહો જંગલ વિસ્તાર સહિત દરિયાઈ વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે.

દરિયાઈ વિસ્તારોમાં પણ સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજુલા, ભાવનગર, ગીરસોમનાથ બાદ પોરબંદરના માધુપુરના દરિયાકાંઠા સુધી સિંહો પહોંચી ગયા છે.

ગીરના સાવજોને જાણે દરિયાકાંઠાનું વાતાવરણ વધુ પસંદ આવી રહ્યું હોય તેમ ગીર કરતા રેવન્યુ અને દરિયાકાંઠે સિંહોની સંખ્યા સતત વધી રહી છે. વર્ષ 2020ની સરખામણીએ 2022માં દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોની વસ્તી વધી છે.

ઉદ્યોગ ઝોન અને દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધતા રાજ્ય સરકાર સુધી આંકડાકીય માહિતી પહોંચી છે જેમા માત્ર દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં સિહોની સંખ્યા 30% કરતા વધી છે.

અવારનવાર સિંહો જંગલ વિસ્તાર છોડી રેવન્યુમાં પહોંચી જાય છે. જ્યારે છેલ્લા 2 વર્ષમાં દરિયાકાંઠે પણ સિંહોનુ વિચરણ વધ્યુ છે. જેની પાછળનું કારણ સતત ગરમી પણ છે. સિંહ ગરમીથી કંટાળીને પણ દરિયાઈ વિસ્તારમાં પહોંચી રહ્યા હોવાનું એક અનુમાન છે. (ઈનપુટ ક્રેડિટ- જયદેવ કાઠી- અમરેલી)
Published On - 2:32 pm, Tue, 2 August 22