
શપથવિધિ સમારોહમાં ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને કાર્યકર્તાઓ સહિત હજારો લોકો ભગવો ખેસ અને ટોપી પહેરી હાજર રહ્યા હતા. જેના કારણે સમારોહ સ્થળ અને ગુજરાતનું પાટનગર કેસરિયા રંગે રંગાયુ હતુ.

હેલિપેડ ગ્રાઉન્ડ પર બનાવેલા ત્રણ મોટા સ્ટેજ પર અનેક મહાનુભવો બિરાજમાન થયા હતા. શપથવિધિ બાદ મુખ્યમંત્રી અને પ્રધાનો એ સમારોહમાં સામેલ કલાકારો, સાધુ-સંતો અને મોટા નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ સહિત 20થી વધારે દિગ્ગજો આજે ગાંધીનગરની ધરતી પણ પહોંચ્યા હતા. ગાંધીનગરના રસ્તાઓ આજે લાલ બત્તીઓવાળી ગાડીના સાયરનથી ગૂંજી ઉઠયા હતા.

સમારોહ સ્થળના ત્રણ સ્ટેજમાંથી એક સ્ટેજ પર શપથવિધિ થઈ હતી. બીજા સ્થાન પર સાધુ-સંતો, કલાકારોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે ત્રીજા સ્ટેજ પર ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત અનેક દિગ્ગજ નેતાઓની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Published On - 6:11 pm, Mon, 12 December 22