
ગૃહ પ્રધાન હર્ષ સંધવીએ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમને 2 કલાકથી વધુ સમય મધ્યસ્થ જેલમાં પસાર કર્યો હતો. જેમાં તેમને જેલની અલગ અલગ બેરેક ઉપરાંત રસોઈ ઘર અને જેલની હોસ્પિટલ સહિત સમગ્ર જેલ વ્યવસ્થાઓ તથા કેદીઓને અપાતી સુવિધાઓનું પણ સ્વનિરીક્ષણ કર્યું હતું.

સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓના મંદિર સમાન ગણવામાં આવતા "મહાત્મા ગાંધી યાર્ડ" તેમજ "સરદાર યાર્ડ"ની મુલાકાત લીધી હતી.

બે કલાકથી વધુ સમય સુધી જેલની તમામ વ્યવસ્થાના કરાયેલા નિરીક્ષણ બાદ મંત્રીએ જેલના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. રીઢા ગુનેગારોને કટ્ટરવાદી માનસિકતામાંથી બહાર લાવવા અને સમાજના પ્રવાહમાં પુનઃ જોડવા માટે શું પગલાં લઈ શકાય તેની ચર્ચા કરી હતી.

આ બેઠકમાં ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી અને તે માટે જરૂરી તમામ પ્રયત્નો કરવા માટેની કાર્યયોજના તૈયાર કરવા ગૃહ પ્રધાનએ વિશેષ ભાર મૂક્યો હતો.

ગૃહ વિભાગના સચિવ નીપૂર્ણા તોરવણે અને મધ્યસ્થ જેલના ઉચ્ચ અધિકારીઓ તથા ગૃહ વિભાગના અધિકારીઓને જેલની મુલાકાત બાદ હર્ષ સંધવીએ જરૂરી સૂચનો કર્યા હતાં. ( ઈનપુટ વીથ દિવ્યાંગ ભાવસાર )