
કાંકરિયા તળાવ- અમદાવાદ શહેરમાં હાલ કાંકરિયા લેક ફ્રન્ટના નામે ઓળખાતું તળાવ કાંકરિયા પણ અદભુત શિલ્પકલાને પ્રદર્શિત કરતું બેજોડ શિલ્પ સ્થાપત્ય ધરાવે છે. કાંકરિયા તળાવને પણ ઈ. સ. ૧૪૫૧માં અહમદશાહના પોત્ર સુલતાન કુતુબુદિને બંધાવ્યું હતું. તળાવનો ઘેરાવો ૨૧૪૩ વાર અને ૧૯૦ ફુટ લાંબી સરખી બાજુઓ છે.જો કે કાંકરિયાને હાલમાં લેકફ્રન્ટના નામે નવીન રૂપરંગ આપવામાં આવ્યા છે, હાલ તો અમદાવાદ શહેરનું સૌથી વ્યસ્ત પીકનીક સ્પોટ બન્યું છે.

સરખેજ રોજા- કહેવામાં આવે છે કે રોજામાં રોજ સરખેજ રોજા છે. સરખેજ રોજાએ એ સમગ્ર એશિયામાં તાજમહેલ પછીનું સૌથી મોટું ગ્રુપ ઓફ મોન્યુમેન્ટ માનવામાં આવે છે. આ રોજાનું નિર્માણ ઈ.સ. ૧૪૪૬માં સુલતાન મુહમ્મદે શરુ કરાવ્યું હતું. જે ઈ.સ. ૧૪૫૧માં કુતુબુદીને પૂર્ણ કરાવ્યું હતું. સરખેજ રોજાના મહમદ બેગડાનો મકબરો આવેલો છે.આ ઉપરાંત પણ ઘણા રાજાના મકબરા છે. આ ઉપરાંત સુફી સંત અહમદ ખટુ ગંજ બક્ષની મજાર પણ આવેલી છે. માનવામાં આવે છે કે અહમદશાહ બાદશાહે જે સાત અહમદના હાથે અહમદઆબાદ આજનું અમદાવાદ શહેરની નીંવ મૂકી હતી તેમાંના તે એક અહમદ હતા. સરખેજ રોજાની કોતરણી કલા બેજોડ છે. આ ઉપરાંત તળાવ અને રાજારાણીનો મહેલ પણ જોવાલાયક છે.

સીદી સૈયદની ઝાળી- બેનમુન અને અજોડ કારીગરીને ઉજાગર કરતી સીદી સૈયદની ઝાળી અમદાવાદ શહેરની શાન બની ચુકી છે. આ ઝાળીની અદભુત કારીગરી અને અરેબીક ડીઝાઇન તેની આગવી ઓળખ છે. ખજૂરી કોતરણી અને તેમાં પણ અડધા પાન પરની કોતરણી વાળી પાંચ ઝાળીઓ છે. જો કે તેમાંથી એક ઝાળી અંગ્રેજો બ્રિટીશ મ્યુઝીયમમાં લઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તે ઝાળીના સ્થાનને તેને હાલ પથ્થરથી પુરવામાં આવી છે.