Wrestlers Protest: રેસલર વિનેશ ફોગટ રડી પડી, પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું-કેટલા બેઆબરુ કરશો ? શું આ દિવસ માટે મેડલ લાવ્યા હતા ? જુઓ Video

Wrestler Police Clash : રેસલર વિનેશ ફોગાટે દિલ્હી પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે અમે અમારા સન્માનની લડાઈ લડી રહ્યા છીએ. પરંતુ પોલીસકર્મી યુવતીઓની છાતી પર હાથ મારી રહ્યા છે, પોલીસે અમારી દુર્દશા કરી છે.

Wrestlers Protest: રેસલર વિનેશ ફોગટ રડી પડી, પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું-કેટલા બેઆબરુ કરશો ? શું આ દિવસ માટે મેડલ લાવ્યા હતા ? જુઓ Video
Vinesh Phogat, Wrestler
| Edited By: | Updated on: May 04, 2023 | 7:09 AM

મારવા હોય તો ગમે તેમ કરીને મારી નાખો, અમે મરવા તૈયાર છીએ, કેટલા બેઆબરુ કરશો ? શું આ દિવસ જોવા માટે મેડલ લાવ્યા હતા ? જો આવું જ થવાનું હોય તો અમે ઈચ્છીએ છીએ કે હવે પછી કોઈ પણ ખેલાડી મેડલ ના જીતે. આ નિવેદન દિગ્ગજ કુસ્તીબાજ વિનેશ ફોગાટે બુધવારે મધ્યરાત્રિએ રડીને આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વરસાદને કારણે, કુસ્તીબાજો માટે ફોલ્ડિંગ બેડ લાવવામાં આવ્યા હતા, જેને પોલીસે અટકાવ્યા હતા, ત્યારબાદ પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે ઘર્ષણ થયું હતું.

આ દરમિયાન રેસલર વિનેશ ફોગાટે દિલ્હી પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે અમે અમારા સન્માનની લડાઈ લડી રહ્યા છીએ. પરંતુ પોલીસકર્મી યુવતીઓની છાતી પર હાથ મારી રહ્યાં છે, અમારી દુર્દશા કરી છે. તેમણે કહ્યું કે વરસાદને કારણે ગાદલા ભીના થઈ ગયા હતા, તેથી પથારી મંગાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમે લોકોએ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે, પરંતુ તેમની સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

દિલ્હી પોલીસ પર હુમલાનો આરોપ

બીજી તરફ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ દિલ્હી પોલીસ પર તેની સાથે દુર્વ્યવહાર કરવાનો અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ અને કુસ્તીબાજો વચ્ચેની મોડીરાત્રે થયેલ અથડામણમાં વિનેશ ફોગટના ભાઈને માથામાં ઈજા થઈ હતી. આ સિવાય બેડ લઈને પહોંચેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જોકે બાદમાં તેમને છોડી મુકવામાં આવ્યો હતો.

પોલીસકર્મીઓ સામે તપાસ થશે

બીજી તરફ, જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજો અને દિલ્હી પોલીસ વચ્ચેના ઘર્ષણ પર ડીસીપી પ્રણવ તયાલે કહ્યું કે, AAP ધારાસભ્ય સોમનાથ ભારતી વિરોધ સ્થળ પર ફોલ્ડિંગ બેડ લાવ્યા હતા. પરંતુ તેમની પાસે આ માટે પરવાનગી ન હોવાથી તેમને ના પાડી દેવામાં આવી હતી. આના પર કુસ્તીબાજોના સમર્થકો બેરિકેડ પર આવ્યા અને બળજબરીથી પથારીઓ લેવાનો પ્રયાસ કર્યો હતો જેના પગલે વિવાદ થયો.

જોકે અમે કુસ્તીબાજોને તેમની ફરિયાદો આપવા કહ્યું છે, અમે તેમની નિષ્પક્ષ તપાસ કરીશું. જે પોલીસકર્મીઓ પર નશાની હાલતમાં ગેરવર્તનનો આરોપ છે તેમની સામે પણ અમે તપાસ કરીશું.

દિલ્હીમાં પણ રાજકારણ ગરમાયું છે

આ ઉપરાંત કુસ્તીબાજો સાથેની અથડામણને કારણે દિલ્હીમાં પણ રાજકારણ ગરમાયું છે. સમાચાર મળતાની સાથે જ ખેડૂત નેતાઓ તેમના સમર્થકો સાથે જંતર-મંતર જવા રવાના થયા હતા, પરંતુ પોલીસે તેમને ધૌલા કુઆ ખાતે રોક્યા અને તેમની કસ્ટડીમાં લીધા. જ્યારે, દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ અને AAP ધારાસભ્ય સાથે મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પણ જંતર-મંતર પહોંચવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ પોલીસે આ લોકોને પણ કસ્ટડીમાં લીધા હતા.