દિલ્હીમાં, શાસક મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નેશનલ કેપિટલ સિવિલ સર્વિસિસ ઓથોરિટીની રચના માટે કેન્દ્રના વટહુકમ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજીને કેન્દ્ર સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલો આ વટહુકમ ગેરકાયદેસર, ગેરબંધારણીય અને લોકશાહીની વિરુદ્ધ છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેજરીવાલ કહ્યું હતુ કે , “અમે સાંભળ્યું છે કે કેન્દ્ર સરકારે આજે SCના નિર્ણય સામે રિવ્યુ પિટિશન દાખલ કરી છે, પરંતુ વટહુકમ લાવ્યા પછી આ અરજીનું વાજબીપણું શું છે.” આ અરજી પર ત્યારે જ સુનાવણી થઈ શકશે જ્યારે તે પોતાનો વટહુકમ પાછો ખેંચી લેશે. સીએમએ વધુમાં કહ્યું કે, આ વટહુકમ લાવીને કેન્દ્ર સરકારે લોકો અને દેશ સાથે ક્રૂર મજાક કરી છે. કારણ કે કેન્દ્ર સરકાર SCને સીધો પડકાર આપી રહી છે કે તમે જે પણ આદેશ આપો, અમે તેને પલટી નાખીશું.
વાસ્તવમાં દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે, તે પોતાની વિધાનસભા બનાવી શકતું નથી. બંધારણની કલમ 239 (AA) પછી રાજધાની દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ જાહેર કરવામાં આવી હતી. આ સમગ્ર વિવાદમાં જ્યાં એક તરફ દિલ્હી સરકાર કહે છે કે તેમને અહીંના લોકો દ્વારા ચૂંટવામાં આવ્યા છે તો દિલ્હીના તમામ અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગના અધિકારો પણ દિલ્હી સરકાર પાસે હોવા જોઈએ.
શુક્રવાર, 19 મેની મોડી સાંજે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આદેશને ઉલટાવીને વટહુકમ બહાર પાડ્યો હતો. કેન્દ્ર સરકાર ‘નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ, 2023’ લાવી છે. આ વટહુકમ હેઠળ, કોઈપણ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ સંબંધિત અંતિમ નિર્ણય લેવાનો અધિકાર લેફ્ટનન્ટ ગવર્નરને પાછો આપવામાં આવ્યો છે. એટલે કે હવે લેફ્ટનન્ટ ગવર્નર અધિકારીઓની પોસ્ટિંગ કે ટ્રાન્સફર કરાવશે.
આ વટહુકમ હેઠળ દિલ્હીમાં ફરજ બજાવતા ‘DANICS’ કેડરના ગ્રુપ A અધિકારીઓની બદલી અને શિસ્તની કાર્યવાહી માટે ‘નેશનલ કેપિટલ પબ્લિક સર્વિસ ઓથોરિટી’ની રચના કરવામાં આવી છે. ‘DANICS’ એટલે દિલ્હી, આંદામાન-નિકોબાર, લક્ષદ્વીપ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી સિવિલ સર્વિસિસ.
ગઠન થનારી નેશનલ કેપિટલ પબ્લિક સર્વિસ ઓથોરિટીમાં ત્રણ સભ્યો હશે. પ્રથમ સભ્ય દિલ્હીના મુખ્યમંત્રી, બીજો દિલ્હીના મુખ્ય સચિવ અને ત્રીજા સભ્ય દિલ્હીના ગૃહ મુખ્ય સચિવ હશે. મુખ્યમંત્રીને આ ઓથોરિટીના અધ્યક્ષ બનાવવામાં આવશે. નેશનલ કેપિટલ પબ્લિક સર્વિસ ઓથોરિટી પાસે DANICS અને ‘ગ્રૂપ A’ અધિકારીઓની બદલી અને નિમણૂકના તમામ નિર્ણયો લેવાનો અધિકાર હશે, પરંતુ આ નિર્ણય લેફ્ટનન્ટ ગવર્નરની સંમતિ પછી જ લાગુ કરી શકાય છે.
જો સરળ ભાષામાં સમજીએ તો, જો આ ઓથોરિટી દ્વારા લેવામાં આવેલ કોઈપણ નિર્ણય લેફ્ટનન્ટ ગવર્નરને યોગ્ય ન લાગે, તો તેઓ તેને બદલવા અથવા સુધારવા માટે આ સત્તાને પરત કરી શકે છે. તે પછી પણ જો સર્વસંમતિ ન બને તો ઉપરાજ્યપાલે અંતિમ નિર્ણય લેવો પડશે.
એક તરફ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આ વટહુકમને લઈને સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. બીજી તરફ કેન્દ્ર સરકારની દલીલ છે કે દિલ્હી ભારતની રાજધાની છે. અને આના પર સમગ્ર દેશનો અધિકાર છે. કેન્દ્રના જણાવ્યા અનુસાર, અરવિંદ કેજરીવાલે છેલ્લા કેટલાક સમયથી રાજધાની દિલ્હીની ‘વહીવટી ગરિમાને નુકસાન પહોંચાડ્યું છે’.
કેન્દ્ર સરકારે કહ્યું કે “રાજધાની દિલ્હી કોઈ સામાન્ય વિસ્તાર નથી, અહીં દેશની મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે. રાષ્ટ્રપતિ ભવન, સંસદ અને સુપ્રીમ કોર્ટ પણ અહીં છે. આ સિવાય દેશના ઘણા બંધારણીય અધિકારીઓ દિલ્હીમાં રહે છે. જો કોઈ પણ પ્રકારની વહીવટી ભૂલ હશે તો તે માત્ર ભારતની અંદર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આપણા દેશની છબી ખરડશે. કેન્દ્ર સરકારના મતે, દિલ્હીમાં લેવાયેલા કોઈપણ નિર્ણયથી માત્ર ત્યાંના સ્થાનિક લોકોને જ અસર થતી નથી, પરંતુ આ નિર્ણયો દેશના અન્ય નાગરિકોને પણ અસર કરે છે.