
ભારતીય હવામાન વિભાગ (IMD) ના ડીજી મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે, 15 જૂનની સાંજે, બિપરજોય ચક્રવાત 4 થી 8 વાગ્યાની વચ્ચે દરિયાકાંઠે ટકરાશે. આ દરમિયાન સૌથી વધુ અસર ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળશે. કચ્છના જખૌ બંદર પર વરવી અસર થવાની ધારણા છે. આ સિવાય આ ચક્રવાત પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં પણ ટકરાશે. વાવાઝોડાની અસરો વિશે વિગતો આપતાં મહાપાત્રાએ જણાવ્યું છે કે, ગુજરાતના કચ્છ, દેવભુમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ અને મોરબી જિલ્લામાં પવન ખૂબ જ ઝડપથી ફૂંકાશે.
મહાપાત્રાએ જણાવ્યું કે આ જિલ્લાઓમાં સવારે 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે સાંજ સુધીમાં આ તોફાની પવનની તાકાત વધી જશે. જે 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે. ગુરુવારે પણ આ સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે જ્યારે આ ચક્રવાત સૌરાષ્ટ્ર, કચ્છ અને પાકિસ્તાનના બંદરની નજીક ત્રાટકશે, ત્યારે તેની ઝડપ લગભગ 125 કિલોમીટર પ્રતિ કલાકની હશે. પવનની ઝડપ વધુ રહેવાની શક્યતા છે. આ દરમિયાન કચ્છ જિલ્લાને સૌથી વધુ અસર થશે.
મહાપાત્રાએ કહ્યું કે આ વાવાઝોડાની અસર બીજા દિવસે પણ જોવા મળશે. આ દરમિયાન બનાસકાંઠા અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ વાવાઝોડામાં જૂના મકાનો, કાચા મકાનો, વૃક્ષ, બંદરો અને ટાવર વગેરેને નુકસાન થઈ શકે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં શિપિંગ હિલચાલ પહેલાથી જ બંધ કરી દેવામાં આવી છે. હાલમાં, IMDએ અગાઉ જે આગાહી કરી હતી તે મુજબ રાજ્યમાં બચાવ અને સાવચેતીને લઈને તૈયારીઓ ચાલી રહી છે.
મહાપાત્રાના જણાવ્યા અનુસાર 16 અને 17 તારીખે ચક્રવાતને કારણે ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. પરંતુ, આ ચક્રવાતની અન્ય રાજ્યો પર ખાસ અસર નહીં થાય. તેમણે કહ્યું કે તે ચક્રવાત તાઉતે કરતા ઓછું ખતરનાક છે. તેણે જણાવ્યું કે તાઉતે ની સ્પીડ 180-185 કિલોમીટર પ્રતિ કલાક હતી, જ્યારે આ બિપરજોયની ટક્કર સમયે સ્પીડ 130-135ની વચ્ચે હશે. આમ છતા, તેમણે એમ પણ કહ્યું કે, આ ચક્રવાતને હળવાશથી ના લઈ શકાય.
હવામાન વિભાગના ડીજીએ પણ આ વાવાઝોડાને ચોમાસાનું સાથી ગણાવ્યું છે. તેમણે કહ્યું કે બિપરજોયને કારણે આ વર્ષે ચોમાસું વધુ મજબૂત રહેવાની ધારણા છે. મહાપાત્રાએ કહ્યું કે વાવાઝોડાને લઈને કરવામાં આવેલી આગાહીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે વાવાઝોડું હાલમાં ઉત્તર તરફ આગળ વધશે.
ચક્રવાતી તોફાન બિપરજોયના ખતરાને જોતા કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ત્રણેય સેના પ્રમુખો સાથે વાત કરી છે. આ દરમિયાન તેમણે બિપરજોયના લેન્ડફોલ દરમિયાન સશસ્ત્ર દળોની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ચક્રવાતને કારણે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સશસ્ત્ર દળોને નાગરિક અધિકારીઓને તમામ શક્ય સહાયતા આપવા માટે પણ કહેવામાં આવ્યું છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો