ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ‘મિશન નોર્થ ઈસ્ટ’ માટે ત્રણ દિવસના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો છેલ્લો દિવસ છે. તેમણે પ્રસિદ્ધ કામાખ્યા દેવી મંદિરમાં પ્રાર્થના કરી, જે નીલાચલ પહાડી ક્ષેત્રમાં સ્થિત 51 શક્તિપીઠોમાંથી એક છે. તેમની સાથે સીએમ હિમંતા બિસ્વા સરમા (Himanta Biswa Sarma) અને જળ સંસાધન મંત્રી પીયૂષ હજારિકા રાજ્યના ગેસ્ટ હાઉસથી મંદિર પહોંચ્યા હતા. અગાઉ શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે હતા. અહીં તેમણે રાજૌરી અને બારામુલ્લામાં લોકોને સંબોધિત કર્યા.
અમિત શાહ અને શર્મા મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા જ્યાં તેઓએ પૂજા કરી હતી. ગૃહમંત્રી 10 મિનિટથી વધુ મંદિરની અંદર રહ્યા અને બહાર આવ્યા પછી પરિક્રમા કરી હતી. કામાખ્યા મંદિરના વરિષ્ઠ પૂજારીઓ અને પદાધિકારીઓએ તેમનું મંદિરમાં સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાને મંદિરમાં હાજર ભક્તોનું અભિવાદન કર્યું અને પછી આસામ વહીવટી સ્ટાફ કોલેજ માટે રવાના થયા, જ્યાં તેઓ નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલના 70મા પૂર્ણ સત્રને સંબોધિત કરશે.
અમિત શાહ બાદમાં ગોલાઘાટ જિલ્લાના દરગાંવની મુલાકાત લેશે જ્યાં તેઓ રાજ્ય સ્તરીય પોલીસ અધિક્ષક પરિષદને સંબોધશે. ત્યારબાદ તેઓ જોરહાટના રૌરિયા એરપોર્ટથી નવી દિલ્હી જવા રવાના થશે. તેઓ શુક્રવારે સાંજે અહીં પહોંચ્યા હતા અને પૂર મુક્ત આસામના વિષય પર એક બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ પક્ષ પ્રમુખ જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી (BJP) ની કોર કમિટીની બેઠકમાં પણ ભાગ લીધો હતો. શનિવારે, તેમણે નવનિર્મિત રાજ્ય ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને નડ્ડા સાથે બે કાર્યક્રમોમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા.
તેમણે ડ્રગ હેરફેર અને રાષ્ટ્રીય સુરક્ષા પર પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી. આ સિવાય તેમણે નોર્થઈસ્ટ સ્પેસ એપ્લીકેશન સેન્ટર (NESAC)ની સમીક્ષા બેઠક પણ યોજી હતી. અમિત શાહે શ્રીમંત સાંકરદેવ કલાલક્ષેત્ર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. શાહે શનિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે માદક દ્રવ્યોની જપ્તી દેશને ડ્રગ-મુક્ત બનાવશે નહીં, પરંતુ અમલ એજન્સીએ દાણચોરો અને અંતિમ ઉપભોક્તા વચ્ચે તેની ચેનલોને નષ્ટ કરવાના લક્ષ્ય સાથે કામ કરવું જોઈએ.
પૂર્વોત્તર રાજયમાં નશીલા પદાર્થો પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. અમિત શાહની હાજરીમાં લગભગ 40,000 કિલો નશીલા પદાર્થો નષ્ટ કરવામાં આવ્યા. આ કાર્યવાહી અસમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ અને મેઘાલય રાજ્યમાં કરવામાં આવી હતી.