સુપ્રીમ કોર્ટે ફટાકડા પર લગાવ્યો પ્રતિબંધ, કહ્યું માત્ર ગ્રીન ફટાકડા જ બનાવી અને વેચી શકાશે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફ્લિપકાર્ટ, એમેઝોન સહિતની ઓનલાઈન ઈ-કોમર્સ કંપનીઓ ફટાકડાનું ઓનલાઈન વેચાણ કરી શકશે નહીં.

સુપ્રીમ કોર્ટે ફટાકડા પર લગાવ્યો પ્રતિબંધ, કહ્યું માત્ર ગ્રીન ફટાકડા જ બનાવી અને વેચી શકાશે
Supreme Court completely banned the manufacture and sale of firecrackers said only green firecrackers can be made and sold
| Edited By: | Updated on: Oct 29, 2021 | 7:57 PM

DELHI : ફટાકડા પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ શુક્રવારે આવ્યો હતો. વચગાળાના આદેશ અનુસાર સુપ્રીમ કોર્ટે ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા ફટાકડા, જેનું ઉત્પાદન કરવામાં આવ્યું છે અને કોર્ટના આદેશ મુજબ બનાવવામાં આવ્યાં નથી, તેને દિલ્હી-NCRમાં વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે માત્ર ગ્રીન ફટાકડા જ બનાવી અને વેચી શકાશે.

આ સિવાય સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફ્લિપકાર્ટ, એમેઝોન સહિતની ઓનલાઈન ઈ-કોમર્સ કંપનીઓ ફટાકડાનું ઓનલાઈન વેચાણ કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ ઈ-કોમર્સ કંપની ફટાકડાનું વેચાણ કરશે તો તેની સામે કોર્ટની અવમાનના માટે કાર્યવાહી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ ફટાકડાથી થતા નુકસાન અંગે શાળા અને કોલેજો દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ.

જો આદેશનું પાલન નહીં થાય તો ફટાકડાની કંપનીનું લાઇસન્સ રદ્દ થશે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પેટ્રોલિયમ એન્ડ એક્સ્પોઝીવ સેફટી ઓર્ગેનાઈઝેશન (PESO)એ સુનિશ્ચિત કરશે કે જો કોર્ટના આદેશનું પાલન કરવામાં નહીં આવે તો ફટાકડા બનાવતી કંપનીનું લાઇસન્સ રદ્દ કરવામાં આવશે. આ પહેલા ગુરુવારે સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ ફેલાવતા ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ રાજ્યોએ પ્રતિબંધિત ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવો પડશે. આ સિવાય કોર્ટે કહ્યું કે CBI પ્રતિબંધિત ફટાકડા વેચનારાઓ સામે તપાસનો આદેશ આપી શકે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ફટાકડા પરનો પ્રતિબંધ કોઈ સમુદાય અથવા કોઈ ચોક્કસ જૂથ વિરુદ્ધ નથી.

જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની બેન્ચે સ્પષ્ટતા કરી કે તેઓ ઇચ્છે છે કે સુપ્રીમ કોર્ટના આદેશોનું સંપૂર્ણ પાલન કરવામાં આવે. બેન્ચે કહ્યું કે ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો કોર્ટનો આદેશ કોઈ તહેવાર અને કોઈ વિશેષ ધર્મની વિરુદ્ધ નથી. અમે લોકોના જીવવાના અધિકારની રક્ષા માટે અહીં બેઠા છીએ, પરંતુ તહેવારોના નામે લોકોના જીવ સાથે રમવાની કોઈને મંજૂરી આપી શકાય નહીં.

ફટાકડાના વેચાણ પરના પ્રતિબંધના ઉલ્લંઘનના કેસની સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું હતું કે ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો અગાઉનો આદેશ વ્યાપક કારણ આપ્યા બાદ આપવામાં આવ્યો હતો. જસ્ટિસ એમ.આર.શાહે કહ્યું કે ફટાકડા પર પ્રતિબંધ અંગેના અમારા આદેશનો અમલ સુનિશ્ચિત થવો જોઈએ, આ આદેશ વ્યાપક જાહેર હિતમાં આપવામાં આવ્યો છે. અમે કોઈ ખાસ તહેવાર માટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હોય તે રીતે પ્રક્ષેપણ ન કરવું જોઈએ.

આ પણ વાંચો : ઘરે બેઠા દૂધ, મિઠાઇ, ફરસાણ, ચાંદીના વરખમાં ભેળસેળ કેવી રીતે ચકાસવી, જાણો આ સરળ રીત