પંજાબના અમૃતસર (Amritsar) મેડિકલ કોલેજ કેમ્પસમાં આવેલી ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં (Guru Nanak Dev Hospital) શનિવારે આગ લાગી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આ દરમિયાન દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે એક્સ-રે યુનિટની પાછળની બાજુએ મૂકવામાં આવેલા બે ટ્રાન્સફોર્મરમાં વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ આગની જ્વાળાઓ વધવા લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેના કારણે આગની જ્વાળાઓ ખૂબ જ ઉંચી જોવા મળી રહી હતી. આગના કારણે ચારે બાજુ ધુમાડો ફેલાઈ ગયો હતો.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલમાં લગભગ 600 દર્દીઓ દાખલ છે. ફાયર ઓફિસર લવપ્રીત સિંહે કહ્યું, આગ ટ્રાન્સફર સાથે શરૂ થઈ. ઘટનાની જાણ થતાં જ ફાયરની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગને કાબુમાં લેવામાં આવી છે. કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયર વિભાગે 40 મિનિટની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ રીતે મોટી દુર્ઘટના ટળી હતી. આ દુર્ઘટનાને કારણે કેટલું નુકસાન થયું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોસ્પિટલમાં લગભગ 2 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. શનિવાર હોવાથી ઓપીડીમાં કોઈ દર્દી નહોતા, પરંતુ હોસ્પિટલના વિવિધ વોર્ડમાં 600થી વધુ દર્દીઓ દાખલ હતા. ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગને કારણે સમગ્ર હોસ્પિટલની વીજળી પણ પ્રભાવિત થઈ હતી.
આગ લાગ્યા બાદ સમગ્ર બિલ્ડિંગમાં કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો. જેના કારણે વોર્ડમાં દાખલ દર્દીઓને શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. આવી સ્થિતિમાં હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓના સગાઓએ તેમને તાત્કાલિક હોસ્પિટલમાંથી બહાર કાઢ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આગને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે અનેક દર્દીઓને બારીઓના કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે તેઓ રાહત કાર્ય પર નજર રાખી રહ્યા છે અને મંત્રી હરભજન સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સીએમ માને ટ્વીટ કર્યું કે, શ્રી અમૃતસર સાહિબની ગુરુ નાનક હોસ્પિટલમાં આગની ઘટનાના સમાચાર મળ્યા. અગ્નિશામકો ઝડપથી પરિસ્થિતિ પર કાબૂ મેળવી રહ્યા છે. ભગવાનની કૃપાથી કોઈ જાનહાનિ થઈ નથી. મંત્રી હરભજન સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હું સતત રાહત કાર્ય પર નજર રાખી રહ્યો છું.