બ્રિટનના વડાપ્રધાને પીએમ મોદી સાથે ફોન પર વાત કરી, તાલિબાન, અફઘાનિસ્તાન સહિતના આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, પ્રધાનમંત્રી બોરિસ જોનસન સાથે વાત કરીને આનંદ થયો. અમે ભારત-યુકે એજન્ડા 2030 પર પ્રગતિની સમીક્ષા કરી અને ગ્લાસગોમાં થનારા COP-26 ના સંદર્ભમાં આબોહવા મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.

બ્રિટનના વડાપ્રધાને પીએમ મોદી સાથે ફોન પર વાત કરી, તાલિબાન, અફઘાનિસ્તાન સહિતના આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
PM Narendra Modi- File Photo
| Edited By: | Updated on: Oct 11, 2021 | 6:18 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન (Boris Johnson) વચ્ચે તાલિબાન, અફઘાનિસ્તાન અને અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. COP26 સમિટ પહેલા યોજાયેલી આ વાતચીતમાં, બંને દેશોના વડાઓ તાલિબાન પ્રત્યે સંકલિત આંતરરાષ્ટ્રીય અભિગમની જરૂરિયાત પર સંમત થયા હતા.

પીએમ મોદી અને જોનસને ફોન પર એકબીજા સાથે વાતચીત કરી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, બે ટોચના નેતાઓએ ભારત-યુકેના એકબીજા સાથેના સંબંધો માટે એજન્ડા 2030 પર પ્રગતિની સમીક્ષા પણ કરી હતી.

આ દરમિયાન, પીએમ મોદીએ યુકે દ્વારા ભારતીય રસીને માન્યતા આપવાનું સ્વાગત કર્યું. બ્રિટને ચાર દિવસ પહેલા જાહેરાત કરી હતી કે ભારતીય પ્રવાસીઓ કે જેમણે કોવિશિલ્ડ અથવા તેના દ્વારા મંજૂર કરાયેલ અન્ય કોઈ રસીના બંને ડોઝ પ્રાપ્ત કર્યા છે તેમને 11 ઓક્ટોબરથી આગમન પર દસ દિવસના ક્વોરન્ટાઇનમાંથી પસાર થવાની જરૂર રહેશે નહીં.

ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ કહ્યું કે નેતાઓએ અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ વિશે પણ વાત કરી. તેઓ તાલિબાન સાથે સંકલિત આંતરરાષ્ટ્રીય અભિગમની જરૂરિયાત પર સંમત થયા અને દેશમાં માનવાધિકારને જાળવી રાખવાના મહત્વ પર ભાર મૂક્યો.

બંને નેતાઓએ ગ્લાસગોમાં આગામી ‘કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ’ (COP) -26 ના સંદર્ભમાં યુકે-ભારત સંબંધોને મજબૂત કરવા અને ક્લાઇમેટ એક્શન અંગે પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રીઓએ 2030 રોડમેપ પર થયેલી પ્રગતિનું સ્વાગત કર્યું. મે મહિનામાં બોરિસ જોનસન અને મોદીએ આ અંગે સહમતી દર્શાવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, ‘વડા પ્રધાન બોરિસ જોનસન સાથે વાત કરીને આનંદ થયો. અમે ભારત-યુકે એજન્ડા 2030 પર પ્રગતિની સમીક્ષા કરી અને ગ્લાસગોમાં COP-26 ના સંદર્ભમાં આબોહવા મુદ્દાઓ પર વિચારોની આપલે કરી. અફઘાનિસ્તાન સહિતના પ્રાદેશિક મુદ્દાઓ પર પણ મૂલ્યાંકનો શેર કર્યા.

અત્યારે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના કાર્યવાહક વિદેશ મંત્રી મુલ્લા અમીર ખાન મુત્તકી તેમના પ્રતિનિધિમંડળ સાથે કતારમાં હાજર છે. અહીં આમિર ખાન મુત્તકીની વાતચીત અમેરિકા સહિત ઘણા દેશો સાથે ચાલી રહી છે. તાલિબાન સરકારના કાર્યકારી વિદેશ મંત્રી મુત્તકીનો ઉદ્દેશ કાબુલની નવી સરકારને આંતરરાષ્ટ્રીય માન્યતા આપવાનો અને લગભગ 10 અબજ ડોલરના ભંડોળ પરનો પ્રતિબંધ હટાવવાનો છે.

વાતચીત દરમિયાન, બ્રિટીશ વડાપ્રધાન બોરિસ બોરિસ જોનસને આગામી COP26 સમિટ પહેલા આબોહવા પરિવર્તન પર પ્રગતિની રૂપરેખા પણ આપી હતી. જોનસને કહ્યું કે ભારત પહેલેથી જ નવીનીકરણીય ટેકનોલોજીમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે.

 

આ પણ વાંચો : ‘મંત્રી અજય મિશ્રાની બરતરફી સુધી હું ચૂપ રહીશ નહીં’, લખીમપુર હિંસાના વિરોધમાં મૌન ધરણા પહેલા પ્રિયંકા ગાંધીનું નિવેદન

આ પણ વાંચો : માત્ર ધરતી જ નહીં અવકાશની સુરક્ષા પણ મહત્વની, NSA ડોભાલે કહ્યું – ભારતે સર્વેલન્સ ક્ષમતા વધારવી પડશે