
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (26 સપ્ટેમ્બર) વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં 51,000 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો આપશે. વડા પ્રધાન કાર્યાલય (PMO)એ સોમવારે જણાવ્યું હતું કે PM મોદી આ નિમણૂક પત્રોનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિતરણ કરશે અને ઉમેદવારોને સંબોધિત પણ કરશે. દેશભરમાં 46 સ્થળોએ રોજગાર મેળો યોજાશે.
આ પણ વાંચો: Home Loan: હોમ લોનના વ્યાજમાં મળશે 9 લાખ રૂપિયા સુધીની છૂટ, મોદી સરકાર બનાવી રહી છે યોજના
રોજગાર મેળાની પહેલ હેઠળ, કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી થઈ રહી છે. દેશભરમાંથી નવી ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારો પોસ્ટ વિભાગ, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ, અણુ ઊર્જા વિભાગ, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, મંત્રાલય સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં કામ કરશે.
પીએમઓએ કહ્યું કે રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની વડા પ્રધાનની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રોજગાર મેળો વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે.
મહત્વનું છે કે, PM મોદી ફરી એકવાર પોતાના માદરે વતન આવી રહ્યા છે અને ગુજરાતને વધુ એક ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદી બુધવારે ગુજરાતના છોટા ઉદેપુરમાં 22 જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં Wi-Fi સુવિધાઓ સહિત રૂ. 5,206 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. ગુજરાત સરકારે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે પીએમ મોદી 27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ 4,505 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ અને અન્ય વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર વધુને વધુ સારુ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, ત્યારે વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ₹4505 કરોડના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત, વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.