કેન્દ્ર સરકારે શુક્રવારે ગુજરાત, રાજસ્થાન, છત્તીસગ, હરિયાણા અને પંજાબના 13 જિલ્લામાં વસતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિન-મુસ્લિમ શરણાર્થીઓની ભારતીય નાગરિકત્વ માટેની અરજીઓ મંગાવી છે. ગૃહ મંત્રાલયે નાગરિકતા અધિનિયમ – 1955 હેઠળ 2009 માં બનાવેલા નિયમો અંતર્ગત આ નિર્દેશનું તાત્કાલિક ધોરણે અમલ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
ગૃહમંત્રાલયે રજુ કરેલા જાહેરનામાંમાં કહેવામાં આવ્યું છે કે “નાગરિકતા અધિનિયમ -1955 ની કલમ 16 માં આપવામાં આવેલા અધિકારનો ઉપયોગ કરી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને કલમ -5 હેઠળ ભારતીય નાગરિક તરીકે નોંધણી કરવા અથવા કલમ-6 હેઠળ ભારતીય નાગરિકત્વનું પ્રમાણપત્ર આપવા કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં કયા જિલ્લાઓનો સમાવેશ
તમને જણાવી દઈએ કે આ પ્રક્રિયામાં 13 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના 4 જિલ્લાઓનું નામ છે. ગુજરાતમાં મોરબી, રાજકોટ, પાટણ, અને વડોદરા જિલ્લામાં આદેશ અનુસાર કામગીરી હાથ ધરાશે.
તેમજ દેશના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો દુર્ગ અને બાલોદાબજાર (છત્તીસગ), જાલોર, ઉદયપુર, પાલી, બાડમેર, સિરોહી (રાજસ્થાન), ફરીદાબાદ (હરિયાણા) અને જલંધર (પંજાબ) માં રહેતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિન-મુસ્લિમ રહેવાસીઓ આ હેઠળ ભારતીય નાગરિકત્વ માટે ઓનલાઇન અરજી કરવા પાત્ર છે.’
રાજ્યના સચિવ અથવા જિલ્લાના ડીએમ દ્વારા થશે ચકાસણી
ગૃહમંત્રાલયે કહ્યું કે શરણાર્થીઓની અરજીની ચકાસણી રાજ્યના સચિવ અથવા જિલ્લાના ડીએમ દ્વારા કરવામાં આવશે. આ માટે એક ઓનલાઇન પોર્ટલ હશે. આ સિવાય ડીએમ અથવા રાજ્યના ગૃહ સચિવ, કેન્દ્રના નિયમો અનુસાર ઓલાઇન અને લેખિત રજિસ્ટર બનાવશે, જેમાં ભારતના નાગરિક તરીકે શરણાર્થીઓની નોંધણી વિશે માહિતી હશે. આની એક નકલ સાત દિવસમાં કેન્દ્ર સરકારને મોકલવાની રહેશે.
આ પણ વાંચો: તારક મહેતાની બબીતા સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ, વાલ્મીકી સમાજના અપમાનનો આરોપ, જાણો સમગ્ર વિગત
Published On - 12:58 pm, Sat, 29 May 21