Niti Aayog Meeting: આજે દિલ્હીમાં નીતિ આયોગની બેઠક ચાલી રહી છે. જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજરી આપી રહ્યા નથી. હવે સીએમ નીતીશ કુમાર (Nitish Kumar) આ બેઠકમાં ન આવવાને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. વિપક્ષના નેતા વિજય કુમાર સિન્હાએ નીતિ આયોગની બેઠકમાં ન જવા બદલ મુખ્યમંત્રી પર સવાલ ઉઠાવ્યા છે, તેમને પૂછ્યું છે કે શું નીતીશ કુમાર ડરેલા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આંખ મીલાવવમાં શરમ અનુભવે છે કે કે પછી નીતીશ કુમારને બિહારના લોકોના હિત અને વિકાસની જરા પણ ચિંતા નથી?
આ મામલે નીતિશ કુમારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે 5 રાજ્યના મુખ્યમંત્રીઓ નીતિ આયોગની બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી. મારા આ રીતે સામેલ થવાનો કોઈ અર્થ નહોતો. જો અમે ગયા હોત તો પ્રશ્ન પૂછત કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો કેમ નથી મળ્યો અને જાતિ ગણતરી કેન્દ્રે કરવી જોઈતી હતી, તે કેમ ન થઈ?
બીજી તરફ નવા સંસદ ભવન પર મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે અલગ ભવન બનાવવાની જરૂર નથી, તે જુના ઈતિહાસને બદલવા જેવું છે. તેમણે કહ્યું કે તમે અમને પૂછો તો અમને લાગે છે કે ઈમારતને અલગ કરવાની શું જરૂર હતી, જેઓ આ દિવસોમાં સરકારમાં છે તેઓ આખો ઈતિહાસ બદલી નાખશે, તેઓ આઝાદીનો ઈતિહાસ બદલી નાખશે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સિવાય તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બેઠકથી દૂર રહેશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, કર્ણાટકના નવા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ બેઠકમાં ભાગ લેશે નહીં. જો કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ બેઠકમાં હાજરી આપશે.