
ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક હેરાન કરી દે, તેવી ઘટના સામે આવી છે. અહીં એક પરિણીત મહિલા પોતાની જ દીકરીના મંગેતર સાથે પ્રેમમાં પડી ગઈ હતી અને તેની સાથે ઘર છોડીને ભાગી ગઈ હતી. 10 મહિના પહેલા આ ઘટના ઘણી ચર્ચામાં રહી હતી. જો કે, એવામાં ફરી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હવે તે મહિલા યુવકને છોડીને પોતાના બનેવી સાથે ફરાર થઈ ગઈ છે. આ સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચ્યો છે અને પોલીસ તપાસ કરી રહી છે.
38 વર્ષીય પિંકી (નામ બદલ્યું છે) આશરે દસ મહિના પહેલા પોતાના પતિ અને બાળકોને છોડીને પોતાનાથી 18 વર્ષ નાના એવા ભાવિ જમાઈ મનોજ (નામ બદલ્યું છે) સાથે જતી રહી હતી. બંનેના સંબંધોની શરૂઆત ત્યારે થઈ હતી, જ્યારે મનોજની સગાઈ મહિલાની પુત્રી સાથે નક્કી થઈ હતી. સગાઈ પછી મનોજ અને તેની થનારી સાસુ વચ્ચે વાતચીત શરૂ થઈ, જે ધીરે ધીરે નિકટતામાં બદલાઈ ગઈ. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે, લગ્નના માત્ર 12 દિવસ પહેલા જ પિંકી પોતાના ભાવિ જમાઈ સાથે ભાગી ગઈ હતી.
એવામાં જ્યારે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો, ત્યારે બંનેએ પોલીસ સામે સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એવું કહેવાય છે કે, મહિલાએ પોતાના પતિ અને પરિવારને છોડીને મનોજ સાથે જીવન વિતાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ બંને અલીગઢ છોડીને બિહારના સીતામઢી જિલ્લામાં જઈને રહેવા લાગ્યા. બીજું કે, ત્યાં મનોજ ફેરી કરીને કપડાં વેચવાનું કામ કરવા લાગ્યો અને બંને સાથે રહેતા હતા.
મનોજનો આરોપ છે કે, 6 ફેબ્રુઆરીએ તે દરરોજની જેમ કામ પર ગયો હતો, જ્યારે તે પાછો આવ્યો ત્યારે પિંકી ઘરેથી ગુમ થઈ ગઈ હતી. મનોજનો દાવો છે કે, તે તેની પાસે રહેલા બે લાખ રૂપિયા રોકડા અને કિંમતી ઘરેણાં પણ સાથે લઈ ગઈ છે.
આટલું જ નહીં મનોજે આરોપ લગાવ્યો છે કે, પિંકી હવે તેના જ બનેવી સાથે જતી રહી છે, જેના કારણે આ મામલો વધુ ગૂંચવાયો છે. પીડિત મનોજ દાદોન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા અને ન્યાય માટે આજીજી કરવા ગયો હતો. પોલીસે કહ્યું કે, આ ઘટના તેમના અધિકારક્ષેત્રની બહાર છે, કારણ કે તે બિહારના સીતામઢીમાં બની હતી.