પંજાબના (Punjab) મોહાલીમાં થયેલા ગ્રેનેડ હુમલા (Mohali Blast) પાછળ ખાલિસ્તાન સમર્થકોનું નામ સામે આવી રહ્યું છે. ખાલિસ્તાનની માગણી કરતી સંસ્થા શીખ ફોર જસ્ટિસે આ હુમલાની જવાબદારી લીધી છે. પંજાબમાં હુમલા બાદ શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ હિમાચલ પ્રદેશમાં પણ આવા જ હુમલાની ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું છે. પન્નુએ હુમલાની જવાબદારી સ્વીકાર્યા બાદ પંજાબ અને હિમાચલ પ્રદેશમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને પન્નુ દ્વારા ધમકી આપવામાં આવી છે કે આવો હુમલો શિમલામાં પણ થઈ શકે છે. તેણે કહ્યું છે કે શીખ સમુદાયને ઉશ્કેરવામાં ન આવે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મંગળવારે કહ્યું કે મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટરમાં થયેલા વિસ્ફોટની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે રાજ્યમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. માને તેમના નિવાસસ્થાને પોલીસ મહાનિર્દેશક સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી છે અને ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે.
ભગવંત માને મંગળવારે મીડિયાને કહ્યું કે જે લોકો પંજાબનું વાતાવરણ બગાડવા માંગે છે તેમને બક્ષવામાં આવશે નહીં. ગઈકાલે રાત્રે મોહાલીમાં થયેલા વિસ્ફોટ અંગે મેં ડીજીપી અને અન્ય ગુપ્તચર અધિકારીઓ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવશે. સાંજ સુધીમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. આ મામલે તપાસ ચાલી રહી છે.
આ ઘટના સંદર્ભે કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે, મોહાલી બ્લાસ્ટ એ લોકોનું કાયરતાપૂર્ણ કૃત્ય છે જેઓ પંજાબની શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર તે લોકોની ઈચ્છાઓ પૂરી થવા દેશે નહીં.
દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ લોકોની મદદથી પંજાબમાં દરેક સંજોગોમાં શાંતિ જાળવવામાં આવશે અને ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવશે. પંજાબના મોહાલીમાં સેક્ટર 77, મોહાલીમાં સ્થિત પોલીસ ઇન્ટેલિજન્સ યુનિટના મુખ્યાલયના પરિસરમાં સોમવારે રાત્રે લગભગ 8:45 વાગ્યે રોકેટથી ચાલતા ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી ઇમારતની બારીઓના કાચ તૂટી ગયા હતા. જો કે આ બ્લાસ્ટમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
Published On - 12:49 pm, Tue, 10 May 22