મણિપુરનું ચીન કનેક્શન, શું રાજ્યમાં હિંસા ભડકાવી રહ્યું છે ‘ડ્રેગન’? સવાલ ઉઠવા પાછળ આ છે કારણ

ચીન મણિપુરના લોકોને માત્ર હથિયારોથી જ નહીં, સોશિયલ મીડિયા દ્વારા પણ લડવા માટે મજબૂર કરી રહ્યું છે. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Vibo પર ભારત વિરુદ્ધના વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે

મણિપુરનું ચીન કનેક્શન, શું રાજ્યમાં હિંસા ભડકાવી રહ્યું છે ડ્રેગન? સવાલ ઉઠવા પાછળ આ છે કારણ
Manipur's China connection !
| Edited By: | Updated on: Jun 01, 2023 | 7:40 AM

મણિપુર હિંસાઃ અરુણાચલ પ્રદેશ બાદ હવે ચીનની નજર અન્ય પૂર્વોત્તર રાજ્ય પર છે. આ રાજ્ય છે મણિપુર, જ્યાં ચીન હિંસા ભડકાવીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે. મણિપુરમાં 3 મેથી હિંસા ભડકી રહી છે. સ્થિતિ બગડી છે અને લોકો ભયભીત છે. હિંસામાં અત્યાર સુધીમાં લગભગ 80 લોકોના મોત થયા છે. હાલમાં, હિંસા પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ છે, પરંતુ ત્રણ અઠવાડિયાથી રાજ્યમાં બધું ઠપ થઈ ગયું છે. જાણો શું છે મણિપુરનું ચીન કનેક્શન. શું ‘ડ્રેગન’ રાજ્યમાં હિંસાને વેગ આપે છે?

છેલ્લા એક મહિનાથી હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરમાં હવે ચીને પ્રવેશ કર્યો છે. અહેવાલો અનુસાર, ચીન મ્યાનમાર દ્વારા મણિપુરમાં હથિયારો મોકલી રહ્યું છે, જેથી રાજ્યમાં હિંસા ભડકી શકે અને લોકો એકબીજાના દુશ્મન બની જાય. ચીને કાશ્મીરમાં પણ પાકિસ્તાન સાથે મળીને આવી યુક્તિઓનો ઉપયોગ કર્યો છે. ડ્રેગન લોકોને લડાવીને મણિપુરને ભારતથી અલગ કરવા માંગે છે. વર્ષ 2021માં, ચીને મણિપુર હુમલાની જવાબદારી સ્વીકારનાર આતંકવાદી સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ને ભંડોળ પૂરું પાડ્યું હતું.

ચીનમાં બનેલા હથિયારો સાથે ઝડપાયેલા લોકો

મણિપુરમાં 29 મેના રોજ ધરપકડ કરાયેલા હુમલાખોરો પાસેથી હથિયારો મળી આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે આ હથિયારો ચીનમાં બનાવવામાં આવ્યા હતા. આ લોકો પાસેથી ચાઈનીઝ હેન્ડ ગ્રેનેડ, ઈન્સાસ રાઈફલ અને ડિટોનેટર સહિત અનેક દારૂગોળો મળી આવ્યો હતો. આ તમામ લોકો ઈમ્ફાલના સિટી કન્વેન્શન સેન્ટર વિસ્તારમાં કારમાં જઈ રહ્યા હતા. આ મામલા પછી એ વાતની વધુ પુષ્ટિ થઈ ગઈ છે કે ચીન મ્યાનમાર મારફતે મણિપુરને હથિયાર સપ્લાય કરી રહ્યું છે.

ચીન સોશિયલ મીડિયા પર મણિપુરના લોકોને ભડકાવી રહ્યું છે

ચીન મણિપુરના લોકોને માત્ર હથિયારોથી જ નહીં, સોશિયલ મીડિયા દ્વારા પણ લડવા માટે મજબૂર કરી રહ્યું છે. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Vibo પર ભારત વિરુદ્ધના વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે તેમજ #manipur is not india અને  #china standswith manipur હેશટેગ ચલાવીને તે મણિપુરના લોકોને ભડકાવી રહ્યો છે. ચીન સોશિયલ મીડિયા પર એવો ખોટો દાવો પણ કરી રહ્યું છે કે મણિપુરના લોકો ભારતીય સેનાથી આઝાદી માટે લડી રહ્યા છે.

મણિપુર સરકારને ચીનના આ પગલાની જાણ થઈ

ચીન ટ્વિટર, વોટ્સએપ અને ફેસબુક દ્વારા પણ મણિપુરમાં અફવાઓ ફેલાવી રહ્યું છે. ચીનની આ યુક્તિની મણિપુર સરકારે પણ નોંધ લીધી. જેને લઈને મણિપુર સરકારે હવે લોકોને ચેતવણી જાહેર કરી છે. સરકારે કહ્યું છે કે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ દ્વારા ખોટી માહિતી, નકલી ફોટા અને વીડિયો શેર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે આવા લોકો ફેક ન્યૂઝ દ્વારા રાજ્યની સ્થિતિ બગાડવાનું કામ કરી રહ્યા છે.

ચીન હવે ફરી એકવાર મણિપુરમાં બળવાને ભડકાવી રહ્યું છે. મણિપુરમાં વર્ષો પહેલા નાશ પામેલા ઉગ્રવાદી સંગઠનો હવે ફરી સક્રિય થઈ રહ્યા છે કારણ કે પડોશી દેશ તેમને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. એવું કહેવાય છે કે મણિપુરમાં પીપલ્સ લિબરેશન આર્મી સિવાય ચીન યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ અસમ અને નેશનલ સોશ્યલિસ્ટ ઑફ નાગાલેન્ડને પણ મદદ કરે છે. ચીન આ સંગઠનોને સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવા માટે ઉશ્કેરે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:18 am, Thu, 1 June 23