Maharashtra Floods: મહારાષ્ટ્રમાં ભારે પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત, NDRFની ટીમની કાબિલેદાદ કામગીરી, ઘૂઘવતા પાણી વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન

|

Jul 24, 2021 | 12:59 PM

પાલઘર તાલુકાના વૈતરણા નદી પર આવેલી હાઇ વોલ્ટેજ વીજ લાઇનોનું સમારકામ કરતી વખતે નદીના પટમાં બે લાઈનમેન ફસાઈ ગયા હતા જેને કાઢવામાં NDRFની ટીમને સફળતા મળી

Maharashtra Floods: મહારાષ્ટ્ર પર મેઘરાજા છેલ્લા બે દિવસથી તાંડવ કરતા હોવાથી વરસાદ (Rain) કહેર બનીને લોકો પર તૂટી પડ્યો છે. સાંબેલાધાર વરસાદ અને ભૂસ્ખલન (Landslide) સાથે જોડાયેલી ઘટનાઓમાં અત્યાર સુધી 136 લોકોના મોત થયા છે. રાયગઢમાં મહાડ (Mahad) તાલુકાના તલીયે ગામમાં મોટી દુર્ઘટના થઇ. ભૂસ્ખલનના કારણે પહાડ ધસી પડતા એક આખું ગામ તબાહ થઇ ગયું. આ દુર્ઘટનામાં 32 ઘર નષ્ટ થવાની સાથે અત્યાર સુધી 38 લોકોના મોત થઇ ચૂક્યા છે.

ભારે વરસાદ બાદ સર્જાયેલી વિકરાળ સ્થિતિને પહોંચી વળવા સેના (Army) અને નૌસેના (Indian Navy)એ મોરચો સંભાળી લીધો. રાજ્યમાં યુદ્ધના ધોરણે બચાવ અને રાહતકાર્ય ચાલી રહ્યું છે. પુણે સ્થિત મિલિટ્રી સ્ટેશન અને બોમ્બે એન્જિનિયર ગ્રુપની 15 ટીમો રાહત અને બચાવકાર્યમાં તહેનાત કરી દેવાઇ છે. પુણેમાં આશરે 85 હજાર જેટલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. કોલ્હાપુર શહેર પાસે આવેલી પંચગંગા નદી 2019માં આવેલા પૂરના સ્તર કરતા પણ ઉપર વહી રહી છે.

ભારતીય હવામાન વિભાગે (Indian Metrology Department) મહારાષ્ટ્રના 6 જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ (Red Alert)જાહેર કર્યું. આગામી 24 કલાક માટે તટીય કોંકણ વિસ્તારમાં રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લાઓ સાથે જ પશ્ચિમી મહારાષ્ટ્રના પુણે, સતારા અને કોલ્હાપુર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, હવામાન વિભાગે સતારા જિલ્લા માટે નવું રેડ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી 24 કલાકમાં જિલ્લાના પર્વતીય ઘાટ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઇ છે.

એનડીઆરએફ(NDRF) દ્વારા પાલઘર તાલુકાના વૈતરણા નદી પર આવેલી હાઇ વોલ્ટેજ વીજ લાઇનોનું સમારકામ કરતી વખતે નદીના પટમાં બે લાઈનમેન ફસાઈ ગયા હતા જેને કાઢવામાં NDRFની ટીમને સફળતા મળી હતી. આ બન્ને Maharashtra state electricity distribution company limited (MSEDCL) ના કર્મચારીઓ છે અને તેમનું નામ
મધુકર સાતવી અને પ્રદિપ ભુયલ છે.

લગાતાર પડી રહેલા ધોધમાર વરસાદને કારણે પાલઘર જિલ્લામાં વીજ થાંભલાઓના સમારકામ માટે નવી લાઇનો નાખતી વખતે આ બન્ને કર્મચારી ફસાયા હતા જેનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં પૂરના કારણે નદી પાર કરી શક્યા નહીં. નદીમાં પાણીની સપાટી વધુ હોવાને કારણે અને પાણીના પ્રવાહને લીધે તેઓ માટે વાહનને આગળ ધપાવવાનું અશક્ય બન્યું, તેથી તેઓ આગળ વધી શક્યા નહીં. અહીં રાહતની વાત એ છે કે એનડીઆરએફની ટીમ પાલઘર પહોંચ્યા બાદ આ બન્ને કર્મચારીઓને સહી સલામત બચાવી લેવામાં આવ્યા હતા.

Next Video