
શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં શનિવારે ગેટ નંબર-4 પર તૈનાત એક પીએસી (PAC) જવાનની બંદૂકમાંથી અચાનક ગોળી છૂટી ગઈ હતી. ગોળી રોડ પર વાગી અને પછી ઉછળીને તેના છરા બે દુકાનદારો અને અન્ય એક વ્યક્તિને વાગ્યા હતા. ઈજાગ્રસ્ત ત્રણેય લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ત્રણેયની સારવાર ચાલી રહી છે.
મળેલી માહિતી મુજબ, શનિવારે રોજની જેમ લોકો બાબા વિશ્વનાથના દર્શન કરી રહ્યા હતા. તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે મંદિરના ગેટ નંબર-4 પર ફરજ પર તૈનાત એક પીએસી કોન્સ્ટેબલની કાર્બાઇન અચાનક જમીન પર પડી ગઈ અને તેમાંથી ગોળી છૂટી ગઈ. ગોળી આસપાસના બે દુકાનદારોને વાગી હતી. આ સાથે જ અન્ય એક વ્યક્તિને પણ ગોળી વાગી હતી.
ગોળીનો અવાજ સાંભળીને આસપાસના લોકોમાં નાસભાગનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની કબીરચૌરા મંડળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તમામની સારવાર ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તમામ લોકો જોખમથી બહાર છે. બીજી તરફ, પીએસી જવાનને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
હોસ્પિટલમાં જે લોકોની સારવાર ચાલી રહી છે, તેમની ઓળખ નિક્કી ગુપ્તા, રામબાબુ અને વિકાસ યાદવ તરીકે થઈ છે. તેમના હાથ અને પગમાં ઈજાઓ થઈ છે. આ સાથે જ પોલીસને આ મામલાની જાણ થતાં જ તેમણે તાત્કાલિક માહોલ સંભાળી લીધો હતો અને લોકોને શાંત કર્યા હતા. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે કે, આખરે કાર્બાઇન જમીન પર કેવી રીતે પડી ગઈ અને ગોળી કેવી રીતે છૂટી?
ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, જે સમયે આ અકસ્માત થયો તે સમયે લોકો ફૂલ-હાર ખરીદી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, દરરોજ હજારોની સંખ્યામાં લોકો બાબાના દર્શન માટે કાશી નગરી પહોંચે છે. કાશી વિશ્વનાથ મંદિરની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત હોય છે.