
Karnataka: કર્ણાટકમાં (Karnataka) તાજેતરની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસે (Congress) શાનદાર જીત નોંધાવી છે. જો કે કોંગ્રેસે ચૂંટણી પ્રચાર દરમિયાન જનતાને અનેક વચનો આપ્યા હતા, પરંતુ કોંગ્રેસની 5 ગેરંટી ચૂંટણી પરિણામોમાં મહત્વની કડી બનીને ઉભરી આવી હતી. ઘણા રાજકીય નિષ્ણાતો સહમત થયા હતા કે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી બાંયધરીનો સીધો સંબંધ રાજ્યની જનતા સાથે છે અને તેના પરિણામે રાજ્યની જનતાએ કોંગ્રેસની જીતને સમર્થન આપ્યું છે.
કોંગ્રેસ પાર્ટી તરફથી પ્રચાર દરમિયાન અને જીત બાદ કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા વચનોને કેબિનેટની પહેલી જ બેઠકમાં મંજૂરી આપવામાં આવશે. જો કે, વિપક્ષી પાર્ટીએ સતત આ મુદ્દા પર નિશાન સાધ્યું હતું કે કોંગ્રેસની ગેરંટી કર્ણાટકના બજેટના અડધાથી વધુ રકમની છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ જનતા પાસેથી મત મેળવવા ખોટા વાયદાઓ કરી રહી છે.
રાજ્યમાં સરકાર બન્યા બાદ સીએમ સિદ્ધારમૈયાએ પ્રથમ કેબિનેટ બેઠકમાં આ પાંચ ગેરંટીને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જો કે આ બાંયધરી પૂરી કરવી એ સરકાર અને કોંગ્રેસ બંને માટે મોટો પડકાર બની ગયો છે. હાલમાં આ પાંચ ગેરંટીના અમલ માટે કેબિનેટની બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકારની બે કેબિનેટ બેઠકો થઈ ચૂકી છે, ત્રીજી બેઠક થવાની બાકી છે.