
લદ્દાખમાં ભારતીય સર્વેલન્સ ડ્રોન ક્રેશ થયું છે. જેના કારણે તમામ ફ્લાઈટો સસ્પેન્ડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘટના આજે સવારે બની. ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદને જોતા ગયા વર્ષે જુલાઈમાં DRDOએ ભારતીય સેનાને વાસ્તવિક નિયંત્રણ રેખાની સાથે ઉંચાઈવાળા વિસ્તારો અને પહાડી વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા માટે સ્વદેશી રીતે વિકસિત ડ્રોન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
માનવામાં આવી રહ્યું છે કે જે સર્વેલન્સ ડ્રોન આજે દુર્ઘટનાનો શિકાર થયુ છે, તે ડ્રોનના આ કાફલામાં સામેલ હતું. દુર્ઘટના બાદ એરપોર્ટ અને ફ્લાઈટને કોઈ મુશ્કેલી ના આવે, તે માટે લદ્દાખ એરપોર્ટ મેનેજમેન્ટે તમામ ફ્લાઈટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો.
આ ડ્રોન્સને વધુ ઉંચાઈવાળા વિસ્તારોમાં સર્વેલન્સ માટે ડિઝાઈન કરવામાં આવ્યા હતા. ડ્રોનને ચંદીગઢમાં ડીઆરડીઓની ટર્મિનલ બેલિસ્ટિક્સ સંશોધન પ્રયોગશાળા (TBRL)એ વિકસિત કર્યુ હતું. તેની તૈનાતીથી વધુ ઉંચાઈવાળા વિસ્તારો અને પહાડી વિસ્તારોમાં ભારતીય સેનાની તાકાત વધી છે.
ચીન સરહદ પર પોતાની દગાખોરીને બિલકુલ રોકી રહ્યું નથી. ભારત પણ ડ્રેગનની દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને તે મુજબ તેની યોજનાને વેગ આપી રહ્યું છે. દરમિયાન, એવા સમાચાર છે કે ભારત પૂર્વ લદ્દાખમાં ન્યોમા એરફિલ્ડને અપગ્રેડ કરવા જઈ રહ્યું છે. તે ચીનની સરહદથી માત્ર 50 કિમી દૂર છે. તેના અપગ્રેડેશન બાદ ભારતીય વાયુસેનાની તાકાત અનેક ગણી વધી જશે. તે ભારતીય વાયુસેના (IAF)ને દુશ્મનોના ખોટા સાહસોનો ઝડપથી સામનો કરવામાં મદદ કરશે. આ સાથે ફાઈટર એરક્રાફ્ટની ઓપરેશનલ ક્ષમતા વધુ મજબૂત થશે.
સેનાના અધિકારીઓએ આ જાણકારી આપી. તેમણે ગુરુવારે કહ્યું હતું કે સરહદ પર ચીન દ્વારા નવા મિલિટ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણના સમાચાર વચ્ચે ભારત ટૂંક સમયમાં પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)થી 50 કિમી દૂર ન્યોમા એરફિલ્ડને અપગ્રેડ કરવા જઈ રહ્યું છે. ન્યોમા એરફિલ્ડનો ઉપયોગ ચીનની સાથે ચાલી રહેલા સ્ટેન્ડઓફ દરમિયાન સૈનિકો અને હથિયારોની હિલચાલ માટે કરવામાં આવ્યો હતો.
Published On - 8:14 pm, Mon, 13 February 23