
ભારતે ચીની વ્યાવસાયિકો માટે બિઝનેસ વિઝા પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવી છે. આ પગલું ભારત-ચીન સંબંધોમાં સુધારો કરવા અને બંને દેશોની આર્થિક ભાગીદારી મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ હેઠળ વિઝા ચકાસણીના અનેક વધારાના સ્તરો દૂર કરવામાં આવ્યા છે, જેના કારણે હવે ચીની વ્યાવસાયિકોને ચાર અઠવાડિયામાં વિઝા મળી શકે છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, અગાઉ કઠિન વિઝા ચકાસણીને કારણે ચીની કંપનીઓના ટેકનિશિયન અને નિષ્ણાતોને ભારતમાં પહોંચવામાં અનેક મુશ્કેલીઓ આવતી હતી. હવે ભારતમાં બિઝનેસ વિઝાની તમામ મોટી સમસ્યાઓ ઉકેલી દેવામાં આવી છે અને વધારાનો વહીવટી ચકાસણી સ્તર દૂર કરાયો છે. તેથી, ઉત્પાદક કંપનીઓ ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ અને સૌર ઉર્જા સેક્ટરમાં ઝડપથી જરૂરી ટેકનિશિયન મેળવી શકશે.
ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના અંદાજ મુજબ, કડક વિઝા ચકાસણીને કારણે છેલ્લા ચાર વર્ષમાં ભારતીય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક કંપનીઓને આશરે 15 અબજ ડોલર જેટલું ઉત્પાદન નુકસાન થયું હતું. મોબાઇલ મેન્યુફેક્ચરીંગ માટે ચીનથી આવતી મશીનરી અને ટેકનિકલ સપોર્ટમાં વિલંબને કારણે ઉદ્યોગોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ચીની કંપનીઓ જેવી કે શાઓમી અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ્સને પણ વિઝા ન મળતા ભારતમાં તેમની કામગીરી અને વિસ્તરણ યોજનાઓ પર ખોટો અસર થતો હતો. નવી વિઝા નીતિથી હવે દેશના ઇલેક્ટ્રોનિક્સ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રોને મોટો ફાયદો થશે.
યુએસ ટેરિફ અને વૈશ્વિક આર્થિક દબાણ વચ્ચે, ભારત ચીન સાથે સંબંધોને નવી દિશા આપવા માંગે છે. પીએમ મોદીની ચીન મુલાકાત બાદ બંને દેશો વચ્ચેના સંબંધો ફરી સામાન્ય બનતા દેખાઈ રહ્યા છે. 2020 પછી પહેલી વખત ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ છે.
ઉદ્યોગ સંગઠન ICEA ના વડા પંકજ મહિન્દ્રુએ સરકારના નિર્ણયનું સ્વાગત કરતા જણાવ્યું કે, “સરહદ શેર કરતા દેશોના કુશળ વ્યાવસાયિકો માટે વિઝા મંજૂરી ઝડપથી આપવાનો સરકારનો નિર્ણય પ્રશંસનીય છે.”
2020 ના મધ્યમાં હિમાલય સરહદ પર થયેલા અથડામણ પછી ભારતે લગભગ તમામ ચીની મુસાફરી પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ બિઝનેસ વિઝા ચકાસણી ગૃહ, વિદેશ અને અન્ય મંત્રાલયો સુધી વિસ્તારી દેવામાં આવી હતી, જેના કારણે વિઝા મેળવવું ખૂબ મુશ્કેલ બન્યું હતું. હવે નવી નીતિ સાથે બંને દેશો વચ્ચેના વેપારિક સંબંધો ફરી ગતિ પકડશે તેવી અપેક્ષા છે.
Published On - 4:03 pm, Fri, 12 December 25