દેશમાં કોરોનાના કેસમાં (Corona Cases) સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 48 હજાર 618 નવા કેસ નોંધાયા છે. તો વધુ 1,182 દર્દીઓનાં મૃત્યું સાથે મૃત્યુઆંક 3 લાખ 94 હજાર 524 પર પહોંચ્યો છે. ગઈકાલે વધુ 64 હજાર 524 દર્દીઓએ કોરોનાને હરાવ્યો અને દેશમાં અત્યાર સુધી 2 કરોડ 91 લાખથી વધારે દર્દીઓ રિકવર થયા છે. દેશમાં કોવિડ-19 ના હાલ 5 લાખ 90 હજાર સક્રિય કેસ છે.
કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરતું દેશમાં ડેલ્ટા પ્લ્સ વેરિએન્ટના વધતા કેસથી ફરી એકવાર ફફડાટ વધ્યો છે. દેશના 11 રાજ્યોમાં ડેલ્ટા પ્લ્સ વેરિએન્ટના 48 કેસ સામે આવ્યા. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે 20 કેસ નોંધાયા. તો તામિલનાડુમાં 9 અને મધ્યપ્રદેશમાં 7 ડેલ્ટા પ્લ્સ વેરિએન્ટના કેસ નોંધાયા.
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોવિશીલ્ડ અને કૉ-વૅક્સીન બંને નવા વેરિએન્ટ પર પણ પ્રભાવી છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના વડોદરા અને સુરતમાં ડેલ્ટા પ્લસના એક-એક દર્દી મળ્યાં. જો કે ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના બંને દર્દી સાજા થઈ ગયા છે. સુરતના કેસમાં લોકલ વ્યક્તિ છે, તો વડોદરામાં આવેલો કેસવાળો વ્યક્તિ અન્ય રાજ્યમાંથી આવ્યો હતો.
ગુજરતમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં 123 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન, વડોદરા કોર્પોરેશન, અને સુરત જિલ્લામાં જ ડબલ ડિજિટમાં કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેર, જામનગર શહેર અને ગીર સોમનાથ જિલ્લામાં 1-1 મળીને કુલ 3 દર્દીના મોત થયા છે. તેમજ 431 દર્દી સાજા થયા છે, જેને પગલે રિક્વરી રેટ સુધરીને 98.28 ટકા થયો છે.