અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરની ‘લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ’ (LAC) પર ચીન સાથે તાજેતરમાં થયેલી અથડામણ પર ભારતીય સેનાનું પહેલું નિવેદન સામે આવ્યું છે. ચીફ ઓફ સ્ટાફ ઈસ્ટર્ન કમાન્ડ રાણા પ્રતાપ કલિતાએ કહ્યું કે અમારી સેનાએ રાજ્યના તવાંગ સેક્ટરમાં ચીની સેનાનો ખૂબ જ જોરદાર મુકાબલો કર્યો. જોકે કેટલાક જવાનોને સામાન્ય ઈજા થઈ છે.રાણા પ્રતાપ કાલિતાએ કહ્યું કે, કોઈના દ્વારા ઉશ્કેરવાની જરુર નથી. કારણ કે, અમે વિશ્વાસ આપીએ છીએ કે, બોર્ડર પર અમારું સંપુર્ણ નિયંત્રણ છે.
તમને જણાવી દઈએ કે,પૂર્વ લદ્દાખમાં તણાવ બાદ સેના અને વાયુસેના બે વર્ષથી વધુ સમયથી અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ ક્ષેત્રમાં LAC પર ઓપરેશનલ તૈયારીઓ ચાલુ રાખી છે. ચીન સાથેના તણાવ વચ્ચે, વાયુસેનાએ ગુરુવારે પૂર્વોત્તર ક્ષેત્રમાં એક મોટી કવાયત શરૂ કરી. આ કવાયતમાં રાફેલ ફાઈટર જેટ પણ સામેલ હતા. આ વિસ્તારમાં તૈનાત લગભગ તમામ ફ્રન્ટલાઈન ફાઈટર એરક્રાફ્ટ બે દિવસીય કવાયતમાં સામેલ હતા.
અગાઉ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે, ચીની સૈનિકોએ 9 ડિસેમ્બરે તવાંગ સેક્ટરમાં યાંગત્સે સેક્ટરમાં એકતરફી સ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતીય સૈનિકોએ જોરદાર જવાબ આપ્યો હતો અને તેમને પાછા ફરવા મજબૂર કર્યા હતા. આ અથડામણમાં કોઈ સૈનિકનું મૃત્યુ થયું નથી અને કોઈને ગંભીર ઈજા થઈ નથી. તેમણે કહ્યું કે આ મુદ્દો રાજદ્વારી સ્તરે ચીનની સાથે પણ ઉઠાવવામાં આવ્યો છે અને આવી કાર્યવાહી કરવાની મનાઈ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, 9 ડિસેમ્બરે, અરુણાચલ પ્રદેશમાં (LAC)ના વિવાદિત સ્થળ તવાંગ સેક્ટરના યાંગત્સેમાં ભારતીય જવાનો અને ચીની પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન બંને દેશોની સેનાઓ આગળ આવી હતી. અથડામણ દરમિયાન બંને પક્ષના સૈનિકો ઘાયલ થયા હતા. થોડી જ મિનિટોમાં અથડામણ વધી ગઈ. બંને સેનાઓએ વધારાની સૈન્ય મદદ માટે હાકલ કરી હતી. અંદાજે 250 સૈનિકો ચીન તરફથી આવ્યા હતા અને લગભગ 200 સૈનિકો ભારત તરફથી આવ્યા હતા. જ્યારે લડાઈ વધી ત્યારે બંને પક્ષોના વરિષ્ઠ અધિકારીઓ એટલે કે કમાન્ડિંગ ઓફિસરો મેદાનમાં ઉતર્યા. ઘાયલોને ત્યાંથી હટાવીને વાતાવરણ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.