ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઓસ્ટ્રિયાની રાજધાની વિયનામાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરતા જણાવ્યું કે, 77 વર્ષ જૂના સંયુક્ત રાષ્ટ્ર સંગઠનને નવુ રૂપ આપવાની જરૂરીયાત છે. સંયુક્ત રાષ્ટ્રમાં બદવાવ માટે ભારતની વિદેશ નીતી એક મહત્વપૂર્ણ ભાગ છે. ઓસ્ટ્રિયાની રાજધાની વિયનામાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરતા જયશંકરે આ વાત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા અને તેમા ભારતની ભૂમિકા વિશે પુછવામાં આવતા જયશંકરે જણાવ્યું હતુ કે, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 1945માં થઈ છે અને હું પુછવા માગું છુ કે કોઈ એવી વસ્તુ જણાવો જે 77 વર્ષ જૂની હોય અને તેમાં બદલાવની જરૂરીયાત ન જણાતી હોય. લોકો બદલે છે, સંસ્થાઓમાં પણ બદલાવ થવો જોઈએ, બદલાવની જરૂરીયાત છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાના પ્રયત્નોમાં ઘણા લાંબા સમયથી ભારત સૌથી આગળ છે. ભારતનું કહેવું છે કે, સુરક્ષા પરિષદમાં અમે કાયમી સદસ્ય બનવા હકદાર છીએ. જયશંકરે કહ્યું કે, સમસ્યા એ જ છે કે પ્રભાવશાળી દેશો પોતાનો પ્રભાવ ઓછો થવા દેતા નથી. એવામાં અમે તેઓને કેમ પરિવર્તન માટે રાજી કરી શકીએ. જે પોતાના અલ્પકાલીન ફાયદાના કારણે જૂની પરંપરા સાથે જોડાઈ રહેવા મજબૂર છે. આ એક વાસ્તવીક સમસ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા પર ભાર મૂકવો એ ભારતની વિદેશ નીતીનો એક અભિન્ન અંગ હોવાનું વિદેશ મંત્રીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું કે, પરિવર્તન રાતોરાત નહી થાય અને પ્રયત્નો સતત ચાલુ રાખીશું. આ અમારી વિદેશ નીતી માટે એક મહત્વપૂર્ણ લક્ષ્ય છે. પરંતુ એક દિવસ થશે તેવો મને વિશ્વાસ છે.
રશિયા, ઈગ્લેંડ, ચીન, ફ્રાંસ અને અમેરીકા સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય છે. આ પાંચ દેશ કોઈપણ દેશના પ્રસ્તાવોને વીટો કરી શકે છે. દુનિયાની વાસ્તવીકતાને જોવા માટે કાયમી સભ્યની સંખ્યા વધારવાની માગ કરી રહ્યા છે. ભારતીય સમુદાયના લોકો સાથેના મજબૂત સબંધો માટે સ્વર્ગસ્થ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના પ્રયત્નોના વખાણ કર્યા હતા.
એસ. જયશંકરને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, સુષ્મા સ્વરાજ જ્યારે વિદેશમંત્રી હતા ત્યારે ભારતની વિદેશ નીતીમાં શું બદવાવ આવ્યા હતા? જયશંકરે જવાબ આપ્યો હતો કે, વિદેશમાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે અમારા સબંધ મજબૂત થયા છે અને મજબૂત રહેશે.
(ઈનપુટ – ભાષા)