હૈદરાબાદમાં છેલ્લા 2 દિવસથી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ચાલી રહી છે. આજે આ બેઠકમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને રવિશંકર પ્રસાદ સહિતના નેતા હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે રવિવારે હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં (BJP National Excutive Meeting) રાજકીય ઠરાવ પસાર કર્યો હતો અને ગુજરાત રમખાણોમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને નિશાન બનાવવા બદલ વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. અમિત શાહ સુપ્રીમ કોર્ટના હાલના નિર્ણયના આધારે બોલી રહ્યા હતા જેમાં ગુજરાત રમખાણોના કેસમાં નરેન્દ્ર મોદીને ક્લીન-ચીટ આપવામાં આવી છે. ગુજરાત રમખાણો 2002માં (Gujarat Riots 2002) માર્યા ગયેલા કોંગ્રેસના નેતા એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીએ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી ક્લીનચીટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
તેમણે આરોપ લગાવ્યો કે – કોંગ્રેસ પાર્ટીનો એક જ એજન્ડા છે અને તે છે વિનાશક શક્તિઓ સાથે હાથ મિલાવવાનો અને દેશ વિશે નકારાત્મકતા ફેલાવવાનો. કોંગ્રેસ પક્ષ સતત યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે જેનું વાસ્તવમાં અસ્તિત્વ નથી.
સુપ્રીમ કોર્ટે 24 જૂને ગુજરાત રમખાણો 2002ના મામલે વડાપ્રધાન સામે થયેલી અરજી ફગાવી દીધી હતી. અમિત શાહે કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષો પર નરેન્દ્ર મોદીને કથિત રીતે નિશાન બનાવવા અને તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો આરોપ લગાવ્યો અને કોંગ્રેસ પાર્ટીને તેમની સતામણી માટે માફી માંગવા કહ્યુ.
અમિત શાહે એમ પણ કહ્યું હતું કે જે ગુનેગારો બદલાની ભાવના ધરાવતા હતા તેમને આ કેસમાં સજા થવી જ જોઈએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરિપક્વતા અને ન્યાયતંત્ર અને લોકશાહીમાં તેમની શ્રદ્ધાની પ્રશંસા કરી હતી. ગૃહમંત્રીએ કોંગ્રેસ પર કોરોના વાયરસ સંક્રમણ અને સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઈકના મામલામાં નકારાત્મક રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો અને કોંગ્રેસને નકારાત્મક રાજનીતિમાં ‘ચેમ્પિયન’ ગણાવી. તેમણે કોંગ્રેસ પાર્ટી પર વંશવાદની રાજનીતિ અને કૌભાંડોનો પણ આરોપ લગાવ્યો અને તેમણે નેશનલ હેરાલ્ડ કેસનો પણ ઉલ્લેખ કર્યો જેમાં ED મની લોન્ડરિંગના કેસમાં રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે.
Published On - 7:47 pm, Sun, 3 July 22